દ્વારકા: ખાખરડા ગામે મહાકાય મગર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ, વન વિભાગે સુરક્ષિત રેસ્ક્યુ કરી જંગલ વિસ્તારમાં છોડ્યો
કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામે એક મહાકાય મગર આવી ચડતાં ગ્રામજનો માં થોડા સમય માટે ભય અને દોડધામનો માહોલ સર્જાયો હતો. ગામના વિરેન્દ્ર સિંહ જાડેજાની વાડીમાં મગર દેખાતા આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને ઘટનાની જાણ તાત્કાલિક વાઇલ્ડ લાઇફ વોર્ડન તેમજ ભાટીયા રેન્જ ફોરેસ્ટ ઓફિસરના જી. એન. માડમને કરવામાં આવી હતી.
માહિતી મળતા જ રેન્જ ફોરેસ્ટ વિભાગની ટીમ અને ગણેશગઢ જીવદયા ટ્રસ્ટના સભ્યો સ્થળ પર દોડી આવ્યા હતા. ટીમે જરૂરી સાવચેતી રાખી ગ્રામજનોને સુરક્ષિત અંતરે ખસેડ્યા બાદ દિલધડક કામગીરી હાથ ધરી હતી. ભારે જહેમત બાદ મગરને કોઈપણ પ્રકારની ઇજા પહોંચાડ્યા વગર સફળતાપૂર્વક કાબૂમાં લેવામાં આવ્યો હતો.
રેસ્ક્યુ પૂર્ણ થયા બાદ વન વિભાગ દ્વારા મગરને તેના કુદરતી રહેણાંક માટે યોગ્ય અને સુરક્ષિત સ્થળે મુક્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર કામગીરી દરમિયાન ગ્રામજનોએ પણ વન વિભાગને સહકાર આપ્યો હતો. આ ઘટનાને પગલે વન વિભાગે લોકોને જંગલી પ્રાણી દેખાય ત્યારે ગભરાટ ફેલાવવાને બદલે તાત્કાલિક સંબંધિત વિભાગને જાણ કરવાની અપીલ કરી છે.