દેવભૂમિ દ્વારકા: નાગેશ્વર ખાતે સેવાકીય પ્રસાદ કેમ્પ યોજાયો, મોટી સંખ્યામાં ભક્તોએ ફરાળ-ફળહારનો લાભ લીધો
દ્વારકા તાલુકાના નાગેશ્વર ખાતે રાવલ ગામના સેવાભાવી મનોજભાઈ સોની દ્વારા ગુરુ દેવું ભગતની પ્રેરણાથી શ્રાવણ માસ નિમિત્તે સેવાકીય પ્રસાદ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા આઠ વર્ષથી શ્રાવણ માસના સોમવારે આ સેવા પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવે છે.
આ વર્ષે શ્રાવણ માસના બીજા સોમવારે નાગેશ્વર ખાતે ભવ્ય ફરાળ તથા ફળહાર પ્રસાદનું આયોજન કરાયું હતું. યાત્રાધામ નાગેશ્વર ખાતે દર્શનાર્થે આવતા ભક્તો સહિત મોટી સંખ્યામાં લોકોએ કેમ્પનો લાભ લીધો હતો.
કેમ્પમાં ભક્તોને પ્રેમપૂર્વક ફરાળ અને ફળહાર પ્રસાદ પીરસવામાં આવ્યો હતો. સેવાકીય પ્રવૃત્તિથી પ્રભાવિત ભક્તોએ મનોજભાઈ સોની તથા તેમની ટીમની સેવાભાવનાને બિરદાવી આશીર્વાદ પાઠવ્યા હતા. શ્રાવણ માસ દરમિયાન સતત આ પ્રકારની સેવા પ્રવૃત્તિ થકી ધાર્મિક સ્થળે આવતા ભાવિકોને પ્રસાદ અને સેવાનો લાભ મળી રહ્યો છે.