જામનગર: વોર્ડ નં.૧૧ માં ગટરનો પ્રશ્ર્ન મનપાના ઇજનેરો, કોન્ટ્રાકટરો ઉકેલે તો રૂ.૧૧૧૧નું ઇનામ
શાસક ૫ક્ષના નગરસેવક દ્વારા કમિશ્ર્નર અને પદાધિકારીઓને ચોંકાવનારી રજૂઆત
એક એજન્સી અને કંપનીને એક કરતા વધુ કામ ન આપવા પણ માંગણી
જામનગરના વોર્ડ નં.૧૧ના નગરસેવકે સીડીકેટ સોસાયટી અને શ્યામ ટાઉનશીપમાં છેલ્લાં સાતેક વર્ષથી પાઇપ ગટર બ્લોક હોય આ પ્રશ્ર્ન મનપાના ઇજનેરો, કોન્ટ્રાકટરો ઉકેલી આપે તો રૂ.૧૧૧૧ ઇનામ આપવાની ચોંકાવનારી રજૂઆત કમિશ્ર્નર અને પદાધિકારીઓને કરી છે. સાથે સાથે એક એજન્સી અને કંપનીને એક કરતા વધુ કામ ન આપવા માંગણી કરી છે.
જામનગરના વોર્ડ નં.૧૧ના ભાજપના નગરસેવક પ્રકાશભાઇ રાઠોડે મનપાના કમિશ્રનરને કરેલી રજૂઆતમાં જણાવ્યાનુસાર શહેરમાં રોડ, રસ્તા, લાઇટ, પાણી, ભૂગર્ભ ગટર તથા અન્ય કામ એક એજન્સી અને કંપનીને આપવાથી લોકો ખૂબજ હાલાકીનો સામનો કરી રહ્યા છે. કારણ કે, એક જ એજન્સી અને કંપનીને એક કરતા વધુ કામ આપવાથી એક કામ ચાલુ હોય જે પૂર્ણ થયું ન હોય ત્યાં બીજી ટેન્ડર નાખી કામ કરવા જતા પહોંચી ન શકતા સમયમર્યાદામાં કામો પૂર્ણ થતા નથી અને કામો અધૂરા રહે છે. આથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તદઉપરાંત કામ ઝડપથી પૂર્ણ કરવામાં ગુણવતા પણ જળવાતી નથી. આથી એક એજન્સી કે કંપની એક કામ પૂર્ણ કરે ત્યારબાદ બીજું કામ આપવા માંગણી કરી છે.
આટલું જ નહીં વોર્ડ નં.૧૧માં ગુલાબનગર પાસે આવેલી સીન્ડીકેટ સોસાયટી નં.૩ અને શ્યામ ટાઉનશીપમાં છેલ્લા ૬ થી ૭ વર્ષથી પાઇપ ગટર બ્લોક છે. જેનું વારંવાર નિરીક્ષણ મહાનગરપાલીકાના વિઘ્વાન એન્જીનીયરો દ્વારા કરવામાં આવ્યું છે. પરંતુ હજુ સુધી આ પ્રશ્રનો નિકાલ થયો નથી. આથી મહાનગરપાલીકાના એન્જીનીયરો અને કોન્ટ્રાકટરો આ પ્રશ્ર્નનો નિકાલ કરશે તો અમો દ્વારા તેઓને રૂ.૧૧૧૧ ઇનામ આપવામાં આવશે તેમ રજૂઆતમાં જણાવ્યું છે.