દ્વારકામાં ખેડૂતો-કોંગ્રેસ દ્વારા સરકાર સામે મૌન પ્રહાર
જિલ્લાના અનેક ગામોમાં કંપની દ્વારા સબ સ્ટેશન બનાવવાની હિલચાલ સામે મોં પર હાથ રાખી અનોખો વિરોધ પ્રદર્શન
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેડૂતો અને કોંગ્રેસ દ્વારા સ્થાનિક ગંભીર સમસ્યાઓને લઈને મોં પર હાથ રાખી અનોખી રીતે ’મૌન પ્રહાર’ કરી સરકાર સામે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ખેડૂતોએ મુખ્યત્વે બે મહત્વના પ્રશ્નોને લઈને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે.
જિલ્લાના ચૂર, ચપ્પર, રાજપરા અને કાનપર શેરડી જેવા ગામોમાં એક મહાકાય કંપની દ્વારા સૂચિત સબ સ્ટેશન બનાવવાની હિલચાલ સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનું માનવું છે કે જો આ મહાકાય સબ સ્ટેશન બનશે તો ખેડૂતો પોતાની જમીન અને આજીવિકા ગુમાવી બેસશે.
આ ઉપરાંત, નેશનલ હાઈવે ૧૫૧/એ પર ૧૦ ગામોને જોડતો મુખ્ય રસ્તો બંધ કરી દેવામાં આવતાં ખેડૂતોની મુશ્કેલીમાં મોટો વધારો થયો છે. રસ્તો બંધ થવાના કારણે ખેડૂતોને પોતાની વાડીએ કે ખેતરે જવા માટે દરરોજ ૮ થી ૧૦ કિલોમીટર જેટલો લાંબો ફેરો કરવો પડે છે. પોતાની જમીન બચાવવા અને અવરજવરના બંધ થયેલા રસ્તાને ફરી શરૂ કરવાની માંગ સાથે ખેડૂતો અને કોંગ્રેસના આગેવાનોએ શાંત પરંતુ મક્કમ રીતે આંદોલનનો માર્ગ અપનાવી તંત્ર સામે વિરોધ દર્શાવ્યો છે.