જામનગરમાં મેકેનિકલ એન્જિનિયરે પ્રણય ત્રિકોણમાં જીવન ટૂંકાવ્યું
જૂની પ્રેમિકાના ફોનને કારણે ટેન્શનમાં હોવાનું પોલીસમાં જાહેર
જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતા અને મેકેનિકલ એન્જિનિયર તરીકે નોકરી કરતા યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં અરેરાટી મચી ગઈ હતી. જુની પ્રેમિકા ફોન કરતી હોય જયારે મરણજનાર વાત કરવા માંગતો ન હોય દરમ્યાન આ બાબતના ટેન્શનના કારણે પગલુ ભરી લીધુ હતું. આ જાહેર થયેલી વિગતોના આધારે તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસની નોંધ મુજબ મૂળ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમના પેન્ડુર્થી વિસ્તારના વતની પવનકુમાર શ્રીહરી ગુડુપલ્લી (ઉંમર ૨૬) જામનગરના પટેલ કોલોની શેરી નં. ૬માં રાધાકૃષ્ણ મંદિર પાસે આવેલા ગેલેક્સી એપાર્ટમેન્ટના રૂમ નં. ૧૦૨માં રહેતા હતા અને મેકેનિકલ એન્જિનિયર તરીકે નોકરી કરતા હતા.
ગત રાત્રિના કોઈ પણ સમયે પવનકુમારે પોતાના રૂમમાં પંખા સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતાં સી ટી વી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી ગયા હતા.
પોલીસ સમક્ષ નોંધાવવામાં આવેલી હકીકત મુજબ પવનકુમારને તેની જૂની પ્રેમિકા રોઝા ફોન કરતી હતી, પરંતુ તે તેની સાથે વાત કરવા માંગતો ન હતો. જૂની પ્રેમિકાના વારંવાર આવતા ફોનની બાબતનું ટેન્શન રાખ્યા બાદ પવનકુમારે પોતાના હાથે રૂમમાં જઈ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હોવાનું પોલીસની નોંધમાં જણાવાયું છે.
આ બનાવ અંગે ગેલેકસી એપાર્ટમેન્ટ રૂમ નં. ૧૦૨ ખાતે રહેતી લીખીતા ગીરિબાબુ બુડુમુરૂએ સીટી-બી ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરતા બી.એન.એસ.એસ.ની કલમ ૧૯૪ મુજબ અકસ્માત મોતની નોંધ કરવામાં આવી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.