↵દેવભૂમિ દ્વારકા જિલ્લાના માછીમારોને તા.૧૫ ઑગસ્ટ સુધી દરીયાકાંઠે કે ક્રિક એરીયામાં અવર જવર પર પ્રતિબંધ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા બંદરોએથી માછીમારી માટે માછીમારો સમુદ્રમાં જાય છે, વાવાઝોડા, વરસાદ કે હવામાન અંગેની અન્ય આગાહીઓ સબંધે આવા સમુદ્રમાં રહેલ માછીમારોને ચેતવણી પહોચાડવી શક્ય હોતી નથી. જુન માસથી દરીયો તોફાની થઈ જતો હોવાથી માછીમારોને સામાન્ય રીતે જૂન માસથી સમુદ્રમાં માછીમારી માટે જવું વિશેષ જોખમી છે. મત્સ્યોદ્યોગ ખાતું તથા પોર્ટ ઓફીસરશ્રી દ્વારા માછીમારોને આવી મોસમમાં સમુદ્રમાં જવા માટે પરવાનગી આપવામાં આવતી નથી. તેમ છતાં અનધિકૃત રીતે કોઇ માછીમાર સમુદ્રમાં ચાલ્યા જાય અને સમુદ્ર તોફાની બને તેવા સંજોગોમાં તેઓને જીવનું જોખમ ઉભું થાય તેવી સંભાવના હોય છે. આથી, આવા માછીમારોને સમુદ્રમાં ગેરકાયદેસર રીતે જતા અટકાવવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
આ જાહેરનામા અંતર્ગત કોઇપણ માછીમારોએ કે અન્ય કોઇ વ્યક્તિઓએ તા.૧૫/૦૮/૨૦૨૬ સુધી માછીમારી માટે કે અન્ય કોઇ હેતુસર દેવભૂમિ દ્વારકા જિલ્લાના સમગ્ર વિસ્તારના દરિયાકાંઠેથી કે ક્રિક એરીયા(ખાડી વિસ્તાર)માં જવા તેમજ કોઇપણ બોટની અવર-જવર કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે, આ આદેશોનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની જોગવાઈ અનુસાર સજાને પાત્ર થશે.
આ જાહેરનામું પોર્ટ ઉપર આવતા વ્યાપારીક જહાજો, લશ્કરી દળો, અર્ધ લશ્કરી દળો, પોલીસ દળો, ગુજરાત મેરીટાઇમ બોર્ડની બોટ, અજાડ ટાપુ તથા ઓખાથી બેટ-દ્વારકા વચ્ચે અવર-જવર માટે સક્ષમ અધિકારી દ્વારા અધિકૃત કરેલ પેસેન્જર બોટ, નોન મોટરાઇઝ્ડ ક્રાફ્ટ (લાકડાની બિન યાંત્રિક એક લકડી હોડી અને શઢવાળી હોડી) તથા પગડીયા માછીમારોને લાગુ પડશે નહી.