↵જામનગર: કાલાવડ ગામમાંથી બે બાળકો રહસ્યમય રીતે ગુમ થતા દોડધામ
અજાણ્યા શખ્સ સામે અપહરણ કરી ગયાનો ગુનો નોંધાયો
કાલાવડ વિસ્તારમાં રહેતા આશરે ૧૦ વર્ષ અને ૧૪ વર્ષના બે બાળકો રમવા નીકળ્યા બાદ રહસ્યમય રીતે ગુમ થયા છે, પરિવારજનોમાં ચિંતા ફેલાઇ હતી દરમ્યાનમાં પોલીસને આ મામલે જાણ કરવામાં આવી હતી, ગુમ થયેલ બાળકોના પ્રકરણમાં તપાસ હાથ ધરવામાં આવી છે અને સગીર વયના હોવાથી અપહરણ કરી ગયાની અજાણ્યા શખ્સ વિરુઘ્ધ પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે.
કાલાવડના જીવાપર રોડ પર રહેતા ૯ વર્ષ અને ૯ મહીનાના દેવાંગગીરી અને ૧૪ વર્ષના ક્રિશીવ નામના બે બાળકો તા. ૨૭ સાંજના સુમારે ઘરેથી નીકળ્યા બાદ કયાંક જતા રહયા છે અને મોડે સુધી પરત નહી આવતા ગુમ થયાનું બહાર આવતા આ અંગે કાલાવડ ટાઉન પોલીસમાં ગુમ થયાની નોંધ પરિવાર દ્વારા કરાવવામાં આવી હતી અને પોલીસ દ્વારા તાકીદે તપાસ હાથ ધરવામાં આવી છે.
બંને બાળકો ભેદી રીતે લાપતા બનતા પરિવારજનોમાં ચિંતાની લાગણી ફેલાઇ હતી, અલગ અલગ વિસ્તારમાં પુછપરછ અને શોધખોળ આદરવામાં આવી રહી છે. દરમ્યાનમાં કાલાવડ ટાઉન પોલીસમાં ગુમની નોંધ લીધા બાદ તા. ૨૭ સાંજના કોઇપણ સમયે ફરીયાદી તથા સાહેદના કાયદેસરના વાલીપણામાંથી કોઇ અજાણ્યો ઇસમ બાળકોના અપહરણ કરી ગયાની ફરીયાદ નોંધાવવામાં આવતા પીઆઇ જયસ્વાલ અને સ્ટાફ દ્વારા તપાસ કરવામાં આવી છે.