આજી જીઆઇડીસી વિસ્તારમાં કારખાનામાં બીજા માળ જેટલી ઊંચાઇથી પરપ્રાંતીય કિશોરે છલાંગ લગાવી હતી. જેથી તેને માથામાં ગંભીર ઇજા પહોંચતા તે બેભાન થઇ ગયો હતો. બાદમાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાતા અહીં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
જાણવા મળતી વિગતો મુજબ,આજી જીઆઇડીસીમાં પાણીના ટાંકા પાસે જે.કે.મેન્યુફેકચર નામના કારખાનામાં ગઇકાલે બપોરના એકાદ વાગ્યા આસપાસ અહીં બે માળ જેટલી ઊંચાઇએથી ઓમકાર બચ્ચારામ યાદવ(ઉ.વ. ૧૬) નામનો કિશોર પટકાતા તેને સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અહીં સારવાર દરમિયાન આ કિશોરનું મોત થયું હતું. બનાવની જાણ થતા થોરાળા પોલીસ મથકના પીએસઆઇ એ.પી.રતને જરૂરી કાર્યવાહી કરી હતી.
અઠવાડિયા પૂર્વે રાજકોટ ફરવા માટે આવ્યો હતો
બનાવ અંગે યુવાનના મોટાભાઇ રાજકુમાર બચ્ચારા યાદવે જણાવ્યું હતું કે, તેઓ મૂળ યુપીના બરદોઇ જિલ્લાના વતની છે. ચાર ભાઇના પરિવારમાં ઓમકાર નાનો હતો અને ધો.૮ માં અભ્યાસ કરતો હતો. તે અઠવાડિયા પૂર્વે રાજકોટ ફરવા માટે આવ્યો હતો. અહીં રોકાયા બાદ ગઇકાલે તેને વતન પરત ફરવાનો હતો જેની ટિકિટ પણ આવી ગઇ હતી. તે જ સમયે કોઇ કારણસર તેણે છલાંગ લગાવી આપઘાત કરી લીધો હતો. રાજકુમારે વધુમાં જણાવ્યું હતું કે, તેના નાના ભાઇ ઓમકારનો છેલ્લા થોડા સમયથી મગજ ભમતો હોય જેથી તેણે આ પગલું ભરી લીધાનું અનુમાન વ્યકત કર્યું હતું. આ અંગે થોરાળા પોલીસ વિશેષ તપાસ ચલાવી રહી છે.