ખંભાળીયાની રામનાથ સોસાયટીમાં શ્ર્વાનોનો આતંક
સમયાંતરે અબોલ પશુઓ બને છે ભોગ: વાછરડી પર જીવલેણ હુમલો
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામ ખંભાળીયામાં રામનાથ સોસાયટી, રામનાથ રોડ તથા મહાદેવ વાડા તથા ઘી નદીના આસપાસના વિસ્તારોમા રખડતા ભયાનક કૂતરાઓ દિવસે ને દિવસે આતંક મચાવી રહ્યા છે. લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વારંવાર ગાય, નંદી કે વાછરડી જેવા અબોલ પશુઓ પર જીવલેણ હુમલાઓ કરવાના બનાવ સામે આવી રહ્યા છે ત્યારે ગઇકાલે રામનાથ સોસાયટીમાં એક વાછરડી પર આતંક મચાવનાર શ્ર્વાને જીવલેણ હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.
ખંભાળીયાના રામનાથ વિસ્તારમાં બુધવારે રાત્રે એક વાછરડી પર ચાર પાંચ ડાઘીયા શિકારી કુતરાએ હુમલો કર્યો હતો અને વાછરડીને લોહીલુહાણ કરી હતી. ત્યારે વાછરડીની પુકાર સાંભળીને આસપાસના લોકો દ્વારા બચાવ કામગીરી કરાઇ હતી. જેમાં સેવાભાવી બ્રાહ્મણ પરેશભાઇ મહેતાએ કૂતરાઓને ભગાડીને વાછરડીનો જીવ બચાવ્યો હતો. ત્યારબાદ સેવાભાવી સંસ્થાની મદદથી તથા ગૌસેવક અશોક સોલંકીની મદદથી વાછરડીને સલામત સ્થળે પહોંચાડવાની વ્યવસ્થા હાથ ધરાઇ હતી અને વાછરડીને સારવાર માટે ખસેડવામાં આવી હતી.
હાલ ખંભાળીયામાં આતંકી કુતરાઓને લઇને સ્થાનિકોમાં ભયનો માહોલ છવાઇ રહ્યો છે. દિવસે ને દિવસે કૂતરાઓના હુમલાઓથી અબોલ પશુઓ ઘાયલ થઇ રહ્યા છે. તેને કારણે પશુપ્રેમી તેમજ ગૌપ્રેમીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. તદઉપરાંત ઘણી વખત આતંકી કૂતરાઓ લોકો પર પણ હુમલાઓ કરવામાં ભૂતકાળમાં બનાવો બન્યા છે જેમાં બાળકો ઉપર જીવલેણ હુમલાઓ થયા છે. આ બનાવો શું તંત્રને જાણમાં નથી આવતા...?
હાલ લોકો દ્વારા ઉગ્ર માંગ ઉઠી છે કે આતંકી કૂતરાઓને પકડીને અન્ય સ્થળે પહોંચાડવામાં આવે જેથી ભવિષ્યમાં આવા બનાવો ન બને.