શહેરમાં ૧૩ વર્ષ પહેલા થયેલ કોમી હુલ્લડના કેસમાં ૭૫ સ્ત્રી-પુરૂષનો નિર્દોષ છુટકારો
જામનગર : નાગેશ્ર્વર કોલોનીમાં ૧૩ વર્ષ પહેલા એક ટોળાએ તલવાર, પાઇપ, ધોકા સાથે બે મકાન પર પથ્થરમારો કરવા ઉપરાંત એક કાર સળગાવી નાખી હતી તદઉપરાંત પોલીસ ટુકડી ઉપર પણ હુમલો થયો હતો. તેમજ સરકારી વાહનો ઉપર પણ તોડફોડ કરી હતી. જે કેસમાં ૭૫-સ્ત્રી-પુરૂષ સામે ગુનો નોંધાયો હતો આ કેસ ચાલી જતા તમામ આરોપીઓનો અદાલતે નિર્દોષ છુટકારાનો હુકમ કર્યો છે.
જામનગરની નાગેશ્ર્વર કોલોનીમાં રહેતા સલીમ હમીદ વહેવારીયા સાથે તે વિસ્તારમાં રહેતા કોળી સમાજના લોકો સાથે ૨૦ દિવસ પહેલા થયેલા ઝઘડાનુ મનદુ:ખ રાખી તા.૧૬-૩-૨૦૧૩ના રોજ નાગેશ્ર્વર કોલોની વિસ્તારમાં તલવાર પાઇપ, ધોકો જેવા હથિયારો સાથે આવી સલીમ ઉપર તલવારના ઘા કરી જમણા પગમાં ઘુંટણ પાછળ મારી તથા અન્ય ઇસમોએ સલીમની રીક્ષા ઉપર હુમલો કરી તોડફોડ કરતા દેકારો બુમાબુમ થતા કોળી સમાજના આશરે ૨૦૦ સ્ત્રી પુરૂષના ટોળાએ ભેગા મળી અગાઉના ઝઘડાનું તથા મુસ્લીમ કોમ સાથે અગાઉથી ચાલતુ અદાવત મનદુ:ખને કારણે ગેરકાયદેસર મંડળી બની ધોકા, પાઇપ તલવાર જેવા હથિયારો ધારણ કરી બુમો પાડતા અને દેકારા કરતા આવી ઇરફાન બીસ્મીલા શેખ તથા ફીરોઝ ઉર્ફે પપુ ખફીના ઘર ઉપર પથ્થરમારો કરી તેઓના ઘરમાં તોડફોડ કરી નુકશાન કરી સલીમભાઇની ઓટોરીક્ષા, ઇરફાનભાઇની અલ્ટો કાર તથા હંક મોટરસાયકલમાં તોડફોડ કરી નુકશાન કરી અલ્ટો કાર સળગાવી નુકશાન કયુૃં હતું.
તદઉપરાંત પોલીસ ઉપર પણ પથ્થરમારો કરી પોલીસ જવાનોને ઇજા પહોંચાડી હતી તેમજ સરકારી વાહન બોલેરોમાં તોડફોડ કરી નુકશાન કરવા સંબંધે સલીમ હમીદભાઇ વહેવારીયાએ જામનગર સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવતા પોલીસે ભાવેશ ગોરધનભાઇ પરમાર સહિત આશરે ૭૫ મહિલા-પુરૂષ સામે ગુનો નોંધી ચાર્જશીટ કરેલ. જે કેસ જામનગરની એડી. ચીફ. જયુડી.મેજી એમ.એચ.વાઘેલાની અદાલતમાં ચાલી જતા અદાલત દ્વારા આરોપી ભાવેશ ગોધનભાઇ પરમાર સહિતનાઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કરેલ છે.
આ કેસમાં તમામ આરોપી તરફે વકીલ સંજય સી. દાઉદીયા, ભાવીકા પી. જોશી, બ્રીજરાજસિંહ જાડેજા, તથા ટ્રેઇની આસી. અભિજીતસિંહ જેઠવા રોકાયા હતા.