ગુજરાત સરકાર ગ્રામીણ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે-મંત્રી રાઘવજીભાઈ પટેલ
જામનગર તા.04 ઓક્ટોબર, રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા જામનગર જિલ્લાના ગ્રામીણ વિકાસને વેગ આપતા અગત્યના વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.મંત્રીએ શેખપાટ ગામ ખાતે રૂ. 5 લાખના ખર્ચે નિર્માણ થનાર કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત કર્યું. આ ઉપરાંત, તેમણે બાળા ગામના રસ્તે કોઝ-વે અને ભૂગર્ભ ગટરના કામોનો પણ શુભારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે આ માળખાકીય સુવિધાઓના નિર્માણથી સ્થાનિક લોકોને મોટી રાહત મળશે અને જીવનધોરણમાં સુધારો થશે.શેખપાટનો કોમ્યુનિટી હોલ ગ્રામજનોને સામાજિક, સાંસ્કૃતિક અને જાહેર કાર્યક્રમો માટે એક અદ્યતન સ્થળ પૂરું પાડશે. જ્યારે, બાળા ગામના રસ્તે કોઝ-વે નિર્માણ થવાથી ખાસ કરીને ચોમાસા દરમિયાન ગામડાઓ વચ્ચેની કનેક્ટિવિટી જળવાઈ રહેશે, અને ગ્રામજનોની વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે. ભૂગર્ભ ગટર યોજનાથી ગામમાં સ્વચ્છતા અને આરોગ્યનું સ્તર ઊંચું આવશે."ગુજરાત સરકાર ગ્રામીણ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે. ખેડૂતો, પશુપાલકો અને સામાન્ય ગ્રામજનોની સુખાકારી વધારવા માટે માળખાકીય વિકાસના આવા અનેક કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મેયબેન ગરસર, માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા, તાલુકા પંચાયત પ્રમુખ સંગીતાબેન દુધાગરા, જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ હસમુખભાઈ કણઝારીયા, આગેવાન સર્વ કુમારપાલ સિંહ રાણા, મહેન્દ્રસિંહ જાડેજા, નયનાબેન કણજારીયા, ગિરિરાજસિંહ જાડેજા સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.