અમદાવાદ સ્થિત સોલા GMERS હોસ્પિટલ ખાતે નવા 'સ્થાયી તબીબી મંડળ'ની રચના કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ કર્યો છે. રાજ્યના વિદ્યાસહાયકો, પ્રાથમિક અને માધ્યમિક શાળાના વર્ગ-૩ના શિક્ષકો તેમજ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના વર્ગ-૩ તથા વર્ગ-૪ના કર્મચારીઓની રજૂઆતને હકારાત્મક વાચા આપતો સંવેદનશીલ નિર્ણય કરવામાં આવ્યો છે.
નવા 'સ્થાયી તબીબી મંડળ'ની રચના થવાથી કર્મચારીઓની આરોગ્ય વિષયક તપાસ અને મેડિકલ અભિપ્રાય મેળવવાની સમગ્ર પ્રક્રિયા વધુ સરળ, ઝડપી અને પારદર્શક બનશે. આ સુવિધાના પરિણામે કર્મચારીઓને સમયસર તબીબી રિપોર્ટ મળી રહેશે, જેનાથી બદલી સંબંધિત તેમની રજૂઆતો અને અરજીઓનો નિકાલ પણ ઝડપથી શક્ય બનશે.
ઉલ્લેખનીય છે કે, શિક્ષકો તેમજ GSRTCના કર્મચારીઓએ આરોગ્ય વિષયક કારણોસર આંતર-જિલ્લા બદલી મેળવવા માટે સૌથી જરૂરી તબીબી પ્રમાણપત્ર લેવાની પ્રક્રિયા સરળ બનાવવા અંગે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાને રજૂઆત કરી હતી. તેમની આ રજૂઆતને હકારાત્મક અભિગમ દાખવીને કર્મયોગીઓની સરળતા માટે આ નવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
રાજ્ય સરકાર કર્મચારીઓના કલ્યાણ અને સુશાસનના અભિગમ સાથે કામ કરી રહી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ વિવિધ વર્ગના કર્મચારીઓની સુવિધા અને તેમના હિત માટે સતત નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના પ્રયાસોથી લેવાયેલો આ નિર્ણય રાજ્યના હજારો વિદ્યાસહાયકો, પ્રાથમિક અને માધ્યમિક શાળાના વર્ગ-૩ના શિક્ષકો તેમજ GSRTCના વર્ગ-૩ અને ૪ના કર્મચારીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.