ગુજરાતમાં નવા ઉદ્યોગો સ્થાપવા માંગતા સાહસિકો અને વેપારીઓ માટે અગત્યના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે ઔદ્યોગિક અને રહેણાંક પ્લોટોના નવા ફાળવણી દરો સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યા છે. નિગમની ૫૨૬મી બોર્ડ બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય બાદ આ અંગેનો નવો સત્તાવાર પરિપત્ર જારી કરવામાં આવ્યો છે, જેનાથી રાજ્યના ઔદ્યોગિક ક્ષેત્રમાં જમીનની નવી કિંમતોનું માળખું સ્પષ્ટ થયું છે.
GIDCના વહીવટી સંચાલક દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રની વિગતો મુજબ, ગત ૨૧મી જુલાઈ ૨૦૨૬ના રોજ નિગમના સંચાલક મંડળની ૫૨૬મી સભા યોજાઈ હતી. આ બેઠકમાં ઠરાવ ક્રમાંક ૨૯/હિસાબ/૫૨૬ હેઠળ નાણાંકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટેના નવા દરોને મંજૂરી આપવામાં આવી હતી. આ નવા એલોટમેન્ટ રેટ્સ ૧૪ ઓગસ્ટ ૨૦૨૬થી જ સમગ્ર રાજ્યમાં તુરંત અસરથી અમલમાં આવી ગયા છે. આ નવા દરો હવે પછીનો નવો સત્તાવાર હુકમ ન થાય ત્યાં સુધી અમલી રહેશે.
નવી નીતિ અને ફાળવણી દરો અંગેની મુખ્ય વિગતો નીચે મુજબ છે
તાત્કાલિક અમલીકરણ: ૧૪ ઓગસ્ટ ૨૦૨૬થી જ તમામ નવી અરજીઓ અને ફાળવણી પર નવા દરો લાગુ થઈ ગયા છે.
બહુમાળી શેડના ભાવ યથાવત: નિગમ દ્વારા ઉદ્યોગકારોને ફાળવવામાં આવતા બહુમાળી શેડના દરોમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી.
અન્ય શુલ્ક પર સીધી અસર: જમીનની ફાળવણી ઉપરાંત ટ્રાન્સફર ફી અને બિન-ઉપયોગ (Non-Utilization) બદલ લાગતી પેનલ્ટીની ગણતરી પર પણ આ નવા દરો જ લાગુ થશે.
રહેણાંક પ્લોટના દર: GIDC ની વસાહતોમાં આવેલા હાઉસિંગ સેક્ટરના રહેણાંક પ્લોટના દરો ઔદ્યોગિક પ્લોટના દર કરતા ૧.૫ ગણા (દોઢ ગણા) નક્કી કરવામાં આવ્યા છે.

GIDCના આ નિર્ણયથી રાજ્યના વિવિધ ઔદ્યોગિક વિસ્તારોમાં નવું રોકાણ કરવા માંગતા રોકાણકારો માટે જમીનની કિંમતોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. નવા દરો લાગુ થવાથી જમીન ટ્રાન્સફર અને અન્ય વહીવટી પ્રક્રિયાઓ પણ નવી કિંમતો મુજબ આગળ વધશે.
સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં આવેલા વિવિધ ઔદ્યોગિક વિસ્તારો (ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટ) માટે નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટેના નવા એલોટમેન્ટ પ્રાઇસ (ચોરસ મીટર દીઠ જમીન ફાળવણી દર) જાહેર કરવામાં આવ્યા છે. ઓગસ્ટ ૨૦૨૬થી અમલી બનેલા આ નવા ભાવ પત્રક મુજબ વિવિધ જિલ્લાના મુખ્ય ઔદ્યોગિક ક્ષેત્રોના જમીનના ભાવમાં સમીક્ષા બાદ નવા દરો નક્કી કરાયા છે.
રાજકોટ જિલ્લા હેઠળ ભક્તિનગરમાં સૌથી વધુ રૂ.૨૦,૦૩૦ પ્રતિ ચોરસ મીટર અને આજી એસ્ટેટમાં રૂ.૧૨,૭૮૦ દર નક્કી થયો છે. જામનગર જિલ્લામાં શંકર ટેકરી એસ્ટેટ માટે રૂ.૮,૯૪૦ અને ભાવનગરના વિઠ્ઠલવાડીમાં રૂ.૮,૫૭૦ પ્રતિ ચો.મી. દર રખાયો છે. કચ્છ જિલ્લામાં ગાંધીધામ ખાતે જમીન ફાળવણીનો દર રૂ.૧૦,૩૨૦ નોંધાયો છે, જ્યારે અંજાર અને ભુજમાં રૂ.૮૯૦ પ્રતિ ચો.મી. દર નક્કી કરાયો છે.
જૂનાગઢ-૧ માં રૂ.૨,૬૪૦, પોરબંદરમાં રૂ.૧,૩૨૦ અને અમરેલીમાં રૂ.૨,૧૪૦ પ્રતિ ચોરસ મીટરના ભાવ નિયત કરવામાં આવ્યા છે. જ્યારે વિસાવદર, જાફરાબાદ અને લીલીયા જેવા ગ્રામ્ય ઈન્ડસ્ટ્રિયલ વિસ્તારોમાં રૂ.૨૦૦ પ્રતિ ચો.મી.નો ન્યૂનતમ દર રખાયો છે. નવા દરોથી ઉદ્યોગકારોને પોતાના નવા એકમો સ્થાપવા માટે જમીનની કિંમતનો સ્પષ્ટ અંદાજ મળશે.