દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં રવિવારે બપોરે ૧.૩૦ વાગ્યે સમારકામ દરમિયાન એક પાંચ માળની ગેરકાયદેસર ઇમારત ધરાશાયી થવાની ગંભીર ઘટના બની હતી. જેમાં સાતના મોત થયા હતા. મૃતકોમાંથી પાંચ વિદ્યાર્થીઓ હોવાનું માનવામાં આવે છે. આ દુર્ઘટના બાદ ખાનગી પેઇંગ ગેસ્ટ (પીજી) સંચાલકો, સ્થાનિક તંત્ર અને રાજકારણીઓની સાંઠગાંઠ સામે કડક વિરોધ નોંધાવતા સીજેપી દ્વારા વિસ્તૃત માંગણીઓ રજૂ કરવામાં આવી છે. જેમાં મૃતકોના પરિવારો માટે એક કરોડ રૂપિયા અને ગંભીર રીતે ઘાયલ થયેલા લોકો માટે રૂ.20 લાખના તાત્કાલિક નાણાકીય વળતરની માગ કરી છે.સીજેપીના નેતા દાસ અને દીપક બાલિયાને આ ઘટનાને વહીવટી તંત્રની તાત્કાલિક અને માળખાકીય નિષ્ફળતા ગણાવીને આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે સુરક્ષાના ધોરણોનું પાલન કરાવવામાં એમસીડી અને સ્થાનિક એજન્સીઓ સાવ નિષ્ફળ નીવડી છે.સીજીપીએ મુખ્યત્વે સાત માંગણીઓની યાદી જાહેર કરી છે, જેમાં ફક્ત ઇમારતના માલિક સામે જ નહીં પરંતુ પીજી માફિયા, રાજકારણીઓ અને સરકારી અધિકારીઓ વચ્ચેના જોડાણની સ્વતંત્ર ફોજદારી તપાસની માંગ કરવામાં આવી છે. સંગઠને દિલ્હી શહેરી વિકાસ, આયોજન અને શિક્ષણ મંત્રી આશિષ સૂદની સીધી મંત્રી જવાબદારી નક્કી કરવાની માગ કરી છે અને તેમના શાસન હેઠળ 13 જિલ્લા સમિતિઓનું કામ શા માટે અટકી ગયું હતું તે અંગે સ્પષ્ટતા માંગી છે.યુવાનો અને વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સીજેપીએ દિલ્હીના મુખર્જી નગર જેવા મુખ્ય વિદ્યાર્થી વિસ્તારો અને સમગ્ર દેશની શાળાઓ, કોલેજો તથા છાત્રાલયોનું સમયબદ્ધ એન્જિનિયરિંગ-ગ્રેડ સ્ટ્રક્ચરલ ઓડિટ કરવાની માંગ કરી છે. આ કવાયત દરમિયાન વિદ્યાર્થીઓના યોગ્ય પુનર્વસનની વ્યવસ્થા કરવી, ગેરકાયદેસર બાંધકામોને તાત્કાલિક સીલ કરવા અને જવાબદાર માલિકો પર ભારે દંડ ફટકારવાની રજૂઆત કરાઈ છે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓ જ્યાં રહે છે તે ઇમારતોના સુરક્ષા અને માળખાકીય પ્રમાણપત્રો જાતે ચકાસી શકે તે માટે એક જાહેર અને શોધી શકાય તેવો ડેટાબેઝ બનાવવાની પણ માંગ કરાઈ છે.દિલ્હી યુનિવર્સિટી કેમ્પસ નજીક અનિયંત્રિત ખાનગી પીજી ચાલી રહી હોવાનો આક્ષેપ કરતા સીજેપીએ જણાવ્યું હતું કે યુનિવર્સિટીમાં લાખો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, પરંતુ હોસ્ટેલની ક્ષમતા માત્ર 7,000 આસપાસ જ છે. આથી સરકારે તાત્કાલિક નવી સરકારી હોસ્ટેલોનું બાંધકામ કરવું જોઈએ. આ સાથે જ, ત્રીજી જૂન, 2026ના રોજ માલવિયા નગરના હૌજ રાની વિસ્તારમાં ફ્લોરિશ સ્ટેઝમાં લાગેલી આગની ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમાં 23 લોકોના મોત થયા હતા. તે ઘટના બાદ રચાયેલી 13 જિલ્લા સમિતિઓના તમામ દૈનિક અને સાપ્તાહિક રિપોર્ટ, તપાસેલા મકાનો, નોટિસો અને સત્ય નિકેતનના નિરીક્ષણ અંગેના તમામ રેકોર્ડ 48 કલાકની અંદર સરકારી વેબસાઇટ પર જાહેર કરવાની કડક માંગ કરવામાં આવી છે.એમસીડીના એક નિવેદન અનુસાર, ઇમારત ધરાશાયી થઈ હતી તે 1990ના દાયકામાં પુનર્વસન વસાહતમાં આશરે 55 ચોરસ યાર્ડના પ્લોટ પર બનાવવામાં આવી હતી. જોકે, કેટલાક સ્થાનિક રહેવાસીઓનો દાવો છે કે આ ઇમારત આશરે 50 વર્ષ જૂની હતી અને 1970ના દાયકામાં બનાવવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પુનર્વસન વસાહતોને શરૂઆતમાં ફક્ત ગ્રાઉન્ડ ફ્લોર અને એક ફ્લોર (ગ્રાઉન્ડ પ્લસ વન) બનાવવાની મંજૂરી હતી.દાયકાઓ જૂની પાંચ માળની આ ઇમારતનો ઉપયોગ છોકરાઓના પીજી તરીકે થઈ રહ્યો હતો. એમસીડીએ જણાવ્યું હતું કે ઇમારતનો કોઈ મંજૂર નકશો નથી અને તેની સામે કોઈ ફરિયાદ મળી નથી. આ વિસ્તારને 1970ના દાયકામાં પુનર્વસન વસાહત તરીકે વિકસાવવામાં આવ્યો હતો, જ્યાં લોકોને જમીનના નાના પ્લોટ આપવામાં આવ્યા હતા.એમસીડી કમિશનર સંજીવ ખિરવારે જણાવ્યું હતું કે મેજિસ્ટ્રેટ તપાસથી ઇમારત ધરાશાયી થવાના તાત્કાલિક કારણો વિશે વધુ માહિતી મળશે. ભોંયરામાં કોઈ કામ ચાલી રહ્યું હતું કે કેમ તે મેજિસ્ટ્રેટ તપાસ પછી નક્કી કરવામાં આવશે.સ્થાનિક રહેવાસીઓએ આ ઘટના માટે નવીનીકરણ કાર્ય અને ભોંયરામાં પાણી ભરાવાને જવાબદાર ઠેરવ્યા છે. મ્યુનિસિપલ બોડીએ નજીકની એક ઇમારત ખાલી કરાવી છે અને સીલ કરી દીધી છે, જેમાં છોકરીઓ માટે પીજી હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ, 1957ની કલમ 349 હેઠળ ઓછામાં ઓછી ચાર નજીકની ઇમારતોને ખાલી કરાવવાની નોટિસ જારી કરવામાં આવી છે.કલમ 349 અને કલમ 491 હેઠળ, મ્યુનિસિપલ કોર્પોરેશન કોઈપણ ઇમારતને ખાલી કરવા અને ખતરનાક અથવા જોખમી જાહેર કરવા માટે નોટિસ જારી કરી શકે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે એમસીડી દસ્તાવેજો અનુસાર, ઇમારતના માલિકે ગયા વર્ષે મિલકત વેરો અને 2007 માં રૂપાંતર ફી ચૂકવી હતી.મ્યુનિસિપલ બોડીએ આશરે 980 મિલકતો પર તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરી, 460 મિલકતો સીલ કરી, ગેરકાયદે બાંધકામ માટે 1,500થી વધુ કારણદર્શક નોટિસ જારી કરી અને 708 સીલ સંબંધિત નોટિસો જારી કરી હતી.ઇમારત સર્વે દરમિયાન એમસીડી ટીમો તિરાડો, ઝૂલતી દિવાલો અને ઇમારતની નબળાઈના અન્ય દૃશ્યમાન ચિહ્નો શોધે છે. ઇમારતોનું સામાન્ય રીતે બાહ્ય રીતે નિરીક્ષણ કરવામાં આવે છે, અને વિગતવાર માળખાકીય નિરીક્ષણ કરવામાં આવતું નથી.