લોધિકા તાલુકામાં માલધારીઓના પશુઓને ચરાવવા માટે મંજૂરી આપવા માંગ
લોધિકા તાલુકામાં માલધારીઓના પશુઓને ચરાવવા માટે મંજૂરી આપવા માંગ
September 11, 2026 10:46 AM
લોધિકા તાલુકામાં હાલ સર્જાયેલી દુષ્કાળ જેવી પરિસ્થિતિને કારણે માલધારીઓ અને પશુપાલકોને પશુઓ માટે ઘાસચારાની ગંભીર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી–લોધિકા તાલુકા દ્વારા મામલતદારશ્રી, લોધિકાને આવેદનપત્ર આપી ચીભડા વિડીમાં માલધારીઓના પશુઓને ચરાવવા માટે મંજૂરી આપવા તેમજ તાલુકામાં પૂરતા પ્રમાણમાં ઘાસચારાની વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી છે. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ લોધિકા તાલુકાના અનેક પરિવારો પશુપાલન પર નિર્ભર છે. વરસાદની અછત અને દુષ્કાળ જેવી સ્થિતિના કારણે કુદરતી ઘાસચારો તથા પશુઓ માટેના ખોરાકની ઉપલબ્ધતા ઘટી છે. પરિણામે પશુપાલકોને પોતાના પશુધનના નિભાવ માટે મુશ્કેલી પડી રહી છે. ચીભડા વિડીમાં ઉપલબ્ધ ઘાસચારાનો ઉપયોગ માલધારીઓના પશુઓ માટે થઈ શકે તેમ હોવાથી સ્થાનિક પશુપાલકોને ત્યાં પશુ ચરાવવાની મંજૂરી આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. સાથે જ તાલુકાના જરૂરિયાતમંદ માલધારીઓને સરકારી ધોરણે પૂરતા પ્રમાણમાં ઘાસચારો ઉપલબ્ધ કરાવવા માટે તંત્ર દ્વારા તાત્કાલિક આયોજન કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આવેદનપત્રમાં મુખ્યત્વે ચીભડા વિડીમાં લોધિકા તાલુકાના માલધારીઓને પશુઓ ચરાવવા મંજૂરી આપવી, માલધારીઓના પશુઓ માટે પૂરતો ઘાસચારો ઉપલબ્ધ કરાવવો, જરૂરિયાતવાળા વિસ્તારોમાં ઘાસ વિતરણની વ્યવસ્થા કરવી અને પશુપાલકોને તાત્કાલિક રાહત મળે તે માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવી સહિતની રજૂઆતો કરવામાં આવી છે. આમ આદમી પાર્ટી–લોધિકા તાલુકાએ તંત્રને પશુપાલકોની હાલની પરિસ્થિતિને ગંભીરતાથી ધ્યાને લઈ માનવતાના ધોરણે તાત્કાલિક નિર્ણય લેવા અપીલ કરી છે. સાથે જ માંગણીઓ અંગે ઝડપથી યોગ્ય કાર્યવાહી નહીં થાય તો માલધારીઓ અને પશુપાલકોના હિતમાં આગળની રજૂઆત કરવામાં આવી છે. આવેદનપત્ર આમ આદમી પાર્ટીના લોધિકા તાલુકા પ્રમુખ દિનેશભાઈ દાફડા,લોધિકા તાલુકા પંચાયતના વિરોધપક્ષના નેતા હિતેશભાઈ મારકણા, લોધિકા તાલુકા સદસ્ય રાજેશ પટેલ,ભાવેશભાઈ વસોયા તથા અન્ય આગેવાનો, કાર્યકરો દ્વારા લોધિકા મામલતદારશ્રીને આપવામાં આવ્યું હતું