વરસાદ આવે તો પણ લોકમેળામાં વિઘ્ન નહીં! તંત્રનું આગોતરું અને નક્કર આયોજન
વરસાદ આવે તો પણ લોકમેળામાં વિઘ્ન નહીં! તંત્રનું આગોતરું અને નક્કર આયોજન
August 13, 2026 02:25 PM
રાજકોટમાં તા. ૨થી ૬ સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા જન્માષ્ટમી લોકમેળાને લઈને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ખાસ કરીને મેળા દરમિયાન ભારે વરસાદ પડે તો પણ મુલાકાતીઓ, વેપારીઓ અને સ્ટોલધારકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તે માટે આગોતરું આયોજન હાથ ધરાયું છે.
લોકમેળા સમિતિ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, મેળાના તમામ સ્ટોલ તાલપત્રી સાથેના રાખવામાં આવશે, જેથી વરસાદની સ્થિતિમાં સ્ટોલધારકોના માલસામાનને નુકસાન ન થાય અને વેપારીઓને મુશ્કેલીનો સામનો ન કરવો પડે. વરસાદને કારણે મેળાના ગ્રાઉન્ડમાં પાણી ભરાવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને પાણીના ઝડપી નિકાલ માટે ડીવોટરિંગ પંપની વ્યવસ્થા પણ કરવામાં આવશે. આ ઉપરાંત વરસાદ બાદ ગ્રાઉન્ડમાં ગારા-કીચડની સ્થિતિ સર્જાય નહીં અને લોકોની અવરજવર સરળ રહે તે માટે જરૂરી સ્થળોએ મોરમ પાથરવાની પણ વ્યવસ્થા કરવામાં આવશે. ભારે વરસાદની સ્થિતિમાં મુલાકાતીઓને મુશ્કેલી ન પડે તે માટે ગ્રાઉન્ડની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવશે. જન્માષ્ટમીના તહેવાર દરમિયાન રાજકોટના લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટતા હોય છે ત્યારે વરસાદી માહોલમાં પણ મેળાની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા વિવિધ પાસાંને આવરી લેતી તૈયારીઓ કરવામાં આવી રહી છે. વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને પાણીના નિકાલથી લઈને માર્ગ વ્યવસ્થા સુધીની કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.