ગોંડલ પંથકમાં માંડણકુંડલા અને શ્રીનાથગઢ વચ્ચે સર્જાયેલા એક ગમખ્વાર અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે. જ્યારે બાઈક સવાર અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
મૂળ મધ્યપ્રદેશના બળવાણી જિલ્લાના વતની. છેલ્લા બે વર્ષથી દેવચડી ગામે ખેતીવાડીમાં છૂટક મજૂરી કરતા હતા. પરિવારમાં પત્ની, બે દીકરા અને એક દીકરી છે.
શિવમ રાજેશભાઈ જામરે (ઉ.વ.16, મૃતકનો પુત્ર, રહે. દેવચડી) અને જીતેનભાઈ કોટવાલ (ઉ.વ.27, રહે. શિવરાજગઢ). જીતેનભાઈને વધુ ગંભીર ઈજાઓ હોવાથી રાજકોટ રીફર કરવામાં આવ્યા છે.
કેવી રીતે સર્જાયો અકસ્માત?
દેવચડીથી રાજેશભાઈ પોતાના પુત્ર શિવમને સાથે લઈને શિવરાજગઢ રહેતા કૌટુંબિક સગા જીતેનભાઈ પાસે ગયા હતા. ત્યાંથી રાજેશભાઈ, તેમનો દીકરો અને જીતેનભાઈ ત્રણેય જણા વાસાવડ ખાતે સંબંધીના ઘરે જવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન શ્રીનાથગઢ નજીક પહોંચતા તેમની બાઈક આગળ જતી પાણીપૂરીની લારી સાથે અચાનક અથડાઈ ગઈ હતી. બાઈકમાં કુલ ત્રણ લોકો સવાર હતા.
તંત્ર અને સારવારની કાર્યવાહી
અકસ્માતની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ સેવા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. 108 મારફતે ઇજાગ્રસ્તોને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ જીતેનભાઈની સ્થિતિ ગંભીર જણાતા તેમને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા છે. મજૂરી કામ કરતા પરિવારના મોભીના અચાનક અવસાનથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.