જામનગરની સરકારી શાળાઓ સ્વચ્છ નથી, સ્વચ્છતા પ્રવૃતિ પાછળ ગ્રાન્ટમાંથી ૧૦ ટકા ખર્ચનો આદેશ

  • June 16, 2025 12:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરની સરકારી શાળાઓમાં સ્વચ્છતા સાથે સવાલ ઉઠ્યા છે, કારણ કે રાજ્યની સાથે જામનગરની સરકારી શાળાઓને પણ ફાળવવામાં આવેલી પ્રથમ હપ્તાહની પ૦ ટકા ગ્રાન્ટમાંથી ૧૦ ટકા ગ્રાન્ટ સ્વચ્છતા પ્રવૃતિ પાછળ ખર્ચ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. જેમાં શાળાના શૌચાલયની સફાઇ, હાથ ધોવા સાબુ સહિતની સ્વચ્છતા પ્રવૃતિ કરવાની રહેશે. આટલું જ નહીં રપ જુન સુધીમાં સફાઇની પ્રવૃતિઓ પૂર્ણ કરી ખર્ચના હિસાબો મોકલવા પણ તાકીદ કરવામાં આવી છે.


રાજ્યની સ્ટેટ પ્રોજેકટ ઓફિસ દ્વારા જામનગર સહિત રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારી અને અન્ય શિક્ષણ વિભાગ અધિકારીઓને તા. ૧ર/૬ ના ખાસ પરિપત્ર પાઠવવામાં આવ્યો છે. જેમાં જણાવ્યા અનુસાર સરકારી શાળાઓને નામાંકન મુજબ મંજુર થયેલા બજેટ પૈકી પ્રથમ હપ્તાની પ૦ ટકા ગ્રાન્ટની લીમીટ રીલીઝ કરી ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે.


૯ જુનથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે, આથી શરૂઆતના દિવસોમાં શાળામાં ઉપલબ્ધ વપરાશયુક્ત શૌચાલય, સેનીટેશન સ્વચ્છતા તથા શાળાના મેદાનની સ્વચ્છતા કરવી, આવશ્યક જણાય છે. તદ્દઉપરાંત તા. ર૬ થી ર૮ જુન શાળામાં પ્રવેશોત્સવ યોજાશે. આ તમામ બાળકોને અનુલક્ષીને સરકારી શાળાઓને નામાંકન આધારે ફાળવેલી પ૦ ટકા ગ્રાન્ટમાંથી જુન-૨૦૨૫ માં શાળા સંયુક્ત ગ્રાન્ટના ઓછામાં ઓછા ૧૦ ટકા ગ્રાન્ટનો ઉપયોગ શાળા સ્વચ્છતા એકશન પ્લાનને લગતી પ્રવૃતિઓમાં કરવા આદેશ કરાયો છે.


આ ૧૦ ટકાનો ખર્ચ શાળાના શૌચાલય, પીવાના સ્વચ્છ પાણી સહિત શાળાઓની જાળવણીની સુવિધા તથા શાળા સેનીટેશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો, હાથ ધોવા સાબુ, સંચાલન અને જાળવણીની પ્રવૃતિની કરવા જણાવાયું છે. આટલું જ નહીં આ તમામ પ્રવૃતિ તા. રપ જુન સુધીમાં પૂર્ણ કરી ખર્ચના હિસાબો મોકલવા પણ આદેશ કરાયો છે. જેના કારણે સરકારી શાળાના આચાર્યો અને શિક્ષકોમાં ભારે દોડધામ સાથે આશ્ર્ચર્ય ફેલાયું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application