જેતપુર શહેર અને સમગ્ર તાલુકાની જનતાના મનોરંજન તેમજ પવિત્ર જન્માષ્ટમી પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણીના ભાગરૂપે ‘સીટી કાઉન્સિલ ઓફ જેતપુર’ સંસ્થા દ્વારા આગામી તા. ૦૨-૦૯-૨૦૨૬ થી ૦૭-૦૯-૨૦૨૬ દરમિયાન બસ સ્ટેન્ડ સામે આવેલા જીમખાના ગ્રાઉન્ડ ખાતે ભવ્ય 'જન્માષ્ટમી લોકમેળો-૨૦૨૬'નું આયોજન કરવામાં આવ્યું છે. આ લોકમેળાનું વિધિવત અને ભવ્ય ઉદ્ઘાટન તા. ૦૨-૦૯-૨૦૨૬, બુધવારે સાંજે ૭:૦૦ કલાકે જેતપુર-જામકંડોરણાના લોકપ્રિય ધારાસભ્યશ્રી તથા રાજકોટ જિલ્લા બેંકના ચેરમેન માન. શ્રી જયેશભાઈ રાદડિયાના વરદ હસ્તે થશે. આ ઉદ્ઘાટન સમારોહમાં પૂજ્ય સંતો-મહંતોના આશીર્વચન પ્રાપ્ત થશે તથા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ, અગ્રણી ઉદ્યોગપતિઓ, સામાજિક અને રાજકીય આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.
આ લોકમેળામાં મુલાકાતીઓ માટે વિવિધ પ્રકારની આધુનિક રાઈડ્સ, ચકરડી, બાળકો માટેના રમકડાં તેમજ આઈસ્ક્રીમના સ્ટોલ્સ આકર્ષણનું કેન્દ્ર બનશે. મેળાના છ દિવસ દરમિયાન દરરોજ રાત્રે સંગીતમય અને સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ બોલશે, જેમાં તા. ૦૨/૦૯/૨૦૨૬ના રોજ કરાઓકે શો, તા. ૦૩/૦૯/૨૦૨૬ ના રોજ મ્યુઝિક વર્લ્ડ ઓરકેસ્ટ્રા, તા.૦૫/૦૯/૨૦૨૬ના રોજ બિટ્સ મ્યુઝિકલ ઓરકેસ્ટ્રા, તા. ૦૬/૦૯/૨૦૨૬ના રોજ સ્ટાર મ્યુઝિકલ ઓરકેસ્ટ્રા તથા તા. ૦૭/૦૯/૨૦૨૬ના રોજ નૈત્રી ઇવેન્ટ્સ (અનિલ લાખાણી ગ્રુપ) દ્વારા કાર્યક્રમો રજૂ થશે. ખાસ કરીને તા.૦૪-૦૯-૨૦૨૬ ની રાત્રે ૧૨:૦૦ કલાકે સાહિત્યકાર શિવરાજભાઈ વાળા તથા શ્રી નંદ ગૌશાળાના સહયોગથી કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. આ મેળાનું સમાપન તા. ૦૭-૦૯-૨૦૨૬ ને સોમવારે સાંજે ૭:૦૦ કલાકે થશે.
આ લોકમેળાને સફળ બનાવવાં સીટી કાઉન્સિલ ઓફ જેતપુરના લીડર જયંતીભાઇ રામોલીયા, વી.ડી.પટેલ, ગજેરા પ્રવિણભાઇ, નંદાણિયા પ્રવિણભાઇ,વોરા અરવિંદભાઇનાં માર્ગદર્શનથી પ્રમુખશ્રી મનીષભાઈ પંડ્યા, સેક્રેટરી વિનોદભાઈ કપુપરા,પ્રોજેક્ટ ચેરમેન યોગેશભાઈ શીંગાળા, અમિતભાઇ ટાંક, દિનેશભાઇ જોષી પ્રોજેક્ટ કન્સલ્ટન્ટ્સ, વિવિધ કમિટીના હોદ્દેદારો તથા યુથ વિંગના તમામ સભ્યો જેહમત ઉઠાવી રહ્યા છે. જેતપુર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારની ધર્મપ્રેમી જનતાને આ ભવ્ય લોકમેળામાં પરિવાર સહિત પધારી આનંદ માણવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.