નેપાળમાં આવેલા પૂરના પગલે રાજકોટ જિલ્લાના નાગરિકો માટે હેલ્પલાઇન નંબર જાહેર
નેપાળમાં આવેલા પૂરના પગલે રાજકોટ જિલ્લાના નાગરિકો માટે હેલ્પલાઇન નંબર જાહેર
August 27, 2026 09:48 AM
નેપાળમાં આવેલા પૂરના પગલે રાજકોટ જિલ્લા વહીવટી તંત્રએ જિલ્લાના નાગરિકો માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. પરિવારના સભ્યો હોનારતમાં ફસાયેલા કે ગુમ થયેલા હોય તો ઇમર્જન્સી નંબર પર તાત્કાલિક સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.નેપાળ-ચીન સરહદ નજીક આવેલા તિબેટ તરફથી ભોટેકોશી નદીમાં ૨૬ ઓગસ્ટના રોજ અચાનક આવેલા પૂરના કારણે રસુવા જિલ્લા સહિત ઉત્તર નેપાળના વિવિધ વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીના ડિસ્ટ્રિક્ટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા રાજકોટ જિલ્લાના નાગરિકોની મદદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજકોટ જિલ્લાના નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે, જો તેમના પરિવારજનો, સગા-સંબંધીઓ કે પરિચિતોમાંથી કોઈ વ્યક્તિ નેપાળમાં ફસાયેલા હોય, ગુમ થયેલા હોય, જાનમાલનું નુકસાન થયેલ હોય અથવા કોઈ પણ પ્રકારની તાત્કાલિક સહાયની જરૂરિયાત હોય તો જિલ્લા ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર ૧૦૭૭ અથવા ૦૨૮૧-૨૪૭૧૫૭૩ પર તાત્કાલિક સંપર્ક કરવો. આ ઉપરાંત, નેપાળમાં પૂરની પરિસ્થિતિથી અસરગ્રસ્ત ભારતીય નાગરિકોને સહાય અને માહિતી મળી રહે તે માટે નેપાળના ઇમરજન્સી સંપર્ક નંબરો +૯૭૭ ૯૮૫ ૧૩૧ ૬૮૦૭ અને +૯૭૭ ૯૭૦ ૯૧૦ ૭૫૦૦ પર પણ સંપર્ક કરી શકાય છે. આ નંબરો પર વોટ્સએપ મારફતે પણ જાણ કરી શકાશે.