દિવાળી પર્વ પર ફટાકડા ફોડવાની પરંપરા રહી છે અને મોડી રાત સુધી આતશબાજી ચાલે છે, છેલ્લા કેટલાક વર્ષોથી આકાશી આતશબાજીનો ટ્રેન્ડ છે, આમ છતાં બાળકોના મનપસંદ ફટાકડા પણ વધુ પ્રમાણમાં વેંચાતા હોય છે. પ્રતિવર્ષ ભાવ વધારો આવતો હોય છે અને આ વખતે પણ ફટાકડાના ભાવમાં ૧૦ થી ૧૫ ટકા જેટલો વધારો હોવાથી લોકો માટે ફટાકડા ખરીદવા થોડા મુશ્કેલ બન્યા છે, આમ છતાં પર્વને સાચવવા બધા ગમે તેમ કરીને ફટાકડા ખરીદે છે.
આ વર્ષે પણ ફટાકડાની બજારમાં કેટલીક નવીન આઇટમો જોવા મળી છે. આજે અને આવતીકાલે મોટા પ્રમાણમાં ખરીદી થવાની શકયતા રહેલી છે. જામનગરમાં દિવાળી પર્વ પર ફટાકડા બજારમાં ખરીદીનો દૌર ચાલી રહ્યો છે. ઠેર ઠેર નાખવામાં આવેલ ફટાકડા સ્ટોલ તથા પરંપરાગત રીતે ફટાકડાનો વેપાર કરતા સિઝન સ્ટોર્સમાં અવનવી વેરાયટીનાં ફટાકડા ઉપલબ્ધ છે. ફટાકડાનાં જાણીતા વેપારી મુન્નાભાઇ નાગોરીનાં જણાવ્યાનુસાર આ વખતે ફટાકડા માં સરેરાશ ૧૦ થી ૧૫% જેવો ભાવ વધારો જોવા મળ્યો છે.
ઉપરાંત પરંપરાગત ફડાકડા જેવા કે બોમ્બ, ઝાડવા, જમીન ચક્રી, રોકેટ ઉપરાંત હવામાં ફૂટતા આતશબાજીવાળા ફટાકડાઓમાં નવી આઇટમ્સ આવી ગઇ છે. નાના બાળકો માટે પણ સુરક્ષિત કહી શકાય એવા પ્રકારનાં ફટાકડાઓમાં પણ નવી પ્રોડક્ટ આવી છે. આ વર્ષે માંગ સામે પુરવઠો ઓછો હોવાને પગલે દિવાળીનાં તહેવારોમાં છેલ્લે છેલ્લે ફટાકડાની ખરીદી કરનારને અછતનો સામનો કરવો પડી શકે એવી પણ સંભાવના પણ ફડાકડા નાં વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.