મધ્ય પૂર્વમાં ઈરાન અને અમેરિકા વચ્ચે વધી રહેલા તણાવ અને અથડામણનો સીધો પ્રભાવ હવે ભારતના સામાન્ય નાગરિક સુધી પહોંચી ગયો છે. વૈશ્વિક સ્તરે તેલ પુરવઠામાં ભારે ખલેલ પડતા દેશમાં ઈંધણના ભાવોમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે, જેના કારણે સામાન્ય માણસના ખર્ચામાં વધારો થયો છે. દેશની સૌથી મોટી ખાનગી ફ્યુઅલ રિટેલર નાયરા એનર્જીએ પેટ્રોલમાં પ્રતિ લિટર રૂ. 5.30 અને ડીઝલમાં રૂ. 3 નો વધારો જાહેર કર્યો છે. આ વધારાના કારણે ગુજરાતના અમદાવાદ શહેરમાં પેટ્રોલનો ભાવ લગભગ રૂ.99.65 પ્રતિ લિટર અને ડીઝલનો ભાવ રૂ. 93.07 પ્રતિ લિટર સુધી પહોંચી ગયો છે.
દેશના અન્ય મોટા શહેરોમાં પણ ઈંધણના ભાવોમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. હૈદરાબાદમાં પેટ્રોલનો ભાવ રૂ.107.46 પ્રતિ લિટર અને ડીઝલ રૂ.95.70 સુધી પહોંચી ગયો છે. સાથે સાથે મુંબઈ અને કોલકાતામાં પણ પેટ્રોલના ભાવ રૂ.100ની સપાટી પાર કરી ચૂક્યા છે.
આ પરિસ્થિતિનું મુખ્ય કારણ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખાતે સર્જાયેલી અસ્થિરતા છે. ઈરાન અને અમેરિકા વચ્ચેના સંઘર્ષને કારણે આ મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગ લગભગ બંધ જેવી સ્થિતિમાં આવી ગયો છે, જેના કારણે વૈશ્વિક બજારમાં કાચા તેલનો પુરવઠો ખોરવાયો છે. બંને દેશો દ્વારા એકબીજાના એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર કરવામાં આવેલા હુમલાઓથી પરિસ્થિતિ વધુ ગંભીર બની છે.
ભારતમાં આ પરિસ્થિતિના પરિણામે અનેક રાજ્યોમાં પેટ્રોલ પંપ પર લાંબી કતારો જોવા મળી રહી છે. લોકોમાં ભયના માહોલને કારણે પેનિક બાયિંગ વધી રહ્યું છે. ખાસ કરીને અસમ અને ગુવાહાટી જેવા વિસ્તારોમાં સોશિયલ મીડિયા પર ફેલાયેલી અફવાઓના કારણે ઈંધણ અને એલપીજી સિલિન્ડરની અછતની સ્થિતિ ઉભી થઈ રહી છે.
આ રીતે વૈશ્વિક રાજકીય સંઘર્ષ હવે સ્થાનિક અર્થતંત્ર અને સામાન્ય નાગરિકના રોજિંદા જીવન પર સીધી અસર કરી રહ્યો છે. નિષ્ણાતોના મત મુજબ જો પરિસ્થિતિ જલદી કાબૂમાં નહીં આવે તો આગામી દિવસોમાં ઈંધણના ભાવમાં વધુ વધારો થઈ શકે છે.