નેપાળમાં આવેલા વિનાશક પૂર અને ભૂસ્ખલનની ઘટના વચ્ચે એક ચમત્કારિક સમાચાર સામે આવ્યા છે. તબાહીના ૧૦ દિવસ બાદ સુરક્ષાકર્મીઓએ કાટમાળ નીચે દબાયેલા એક ઘરમાંથી ૬૪ વર્ષીય વૃદ્ધ મહિલાને જીવિત બહાર કાઢી છે, જેણે સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે.
હિમાલયની ખીણમાં આવેલા નેપાળમાં તાજેતરમાં સર્જાયેલી કુદરતી હોનારતે ભારે તારાજી સર્જી છે. બરફ, પથ્થરો અને કાદવના ભીષણ પ્રવાહને કારણે ૧,૩૦૦ થી વધુ લોકોના મોત થયા છે જ્યારે ૫,૬૦૦ થી વધુ લોકો લાપતા છે. આ ભયાનક તારાજી વચ્ચે એક ચમત્કારિક ઘટના સામે આવી છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, દુર્ઘટનાના પૂરા ૧૦ દિવસ બાદ નેપાળના નુવાકોટ (Nuwakot) જિલ્લામાં સુરક્ષાકર્મીઓએ એક ઘરમાંથી ૬૪ વર્ષીય વૃદ્ધ મહિલાને જીવિત બહાર કાઢી છે.
આ રીતે બચાવ થયો
નેપાળની આર્મ્ડ પોલીસ ફોર્સ (Armed Police Force) ની રેસ્ક્યુ ટીમ શનિવારે રાહત અને બચાવ કામગીરી હાથ ધરી રહી હતી. આ દરમિયાન ટીમ નુવાકોટ જિલ્લામાં પહોંચી જ્યાં એક ઘર કાદવ અને મટિરિયલમાં આંશિક રીતે દબાઈ ગયું હતું. આ ઘરના ચોથા માળે ચંદિકા શ્રેષ્ઠા નામની ૬૪ વર્ષીય મહિલા ફસાયેલી હોવાનું માલૂમ પડ્યું.
સુરક્ષાકર્મીઓએ ભારે જહેમત બાદ મહિલાને સુરક્ષિત રીતે કાટમાળમાંથી બહાર કાઢી હતી. ત્યારબાદ ત્વરિત તબીબી સહાય પૂરી પાડવા માટે તેમને હેલિકોપ્ટર દ્વારા રાજધાની કાઠમંડુની હોસ્પિટલમાં એરલિફ્ટ કરવામાં આવ્યા છે. ૧૦ દિવસ સુધી ભૂખ્યા-તરસ્યા કાટમાળ વચ્ચે જીવિત રહેવાની આ ઘટનાને લોકો એક મોટો ચમત્કાર ગણાવી રહ્યા છે.