સુરતમાં ચકચારી ભાજપ યુવા નેતા જય દલાલ હત્યા કેસ અને ગેરકાયદે હથિયારોના રેકેટના મુખ્ય આરોપી તથા 35થી વધુ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા કુખ્યાત હિસ્ટ્રીશીટર જયેશ ઉર્ફે બારકુ પાટીલને લાજપોર જેલથી ક્રાઈમ બ્રાંચ લાવતી વખતે એક નાટક અને ઘર્ષણની મોટી ઘટના સામે આવી હતી. બુઢાણા ગામ નજીક ગાડી પહોંચતા જ આરોપીએ ઉલ્ટી અને લઘુશંકાનું બહાનું કાઢીને ગાડી રોકાવડાવી હતી. ગાડી થોભતા જ તેણે તકનો લાભ લઈને પીએસઆઈનું સર્વિસ વેપન આંચકી લીધું હતું અને પોલીસ કાફલાની પકડમાંથી ભાગવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. ઝપાઝપી દરમિયાન પરિસ્થિતિ વણસતા પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરવું પડ્યું હતું, જેમાં આરોપીના પગમાં ગોળી વાગી હતી.
આ ગોળીબારમાં ઈજાગ્રસ્ત થયેલા કુખ્યાત જયેશ પાટીલને તુરંત જ ચુસ્ત અને કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. આરોપી જયેશ પાટીલ કોઈ સામાન્ય ગુનેગાર નથી, પરંતુ તેની સામે હત્યાના પ્રયાસ, લૂંટ, ધાડ અને આર્મ્સ એક્ટ જેવા અતિ ગંભીર અને હિંસક ગુનાઓ નોંધાયેલા છે. સુરત ક્રાઇમ બ્રાંચના ડીસીપી ભાવેશ રોઝિયાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટ મેળવીને પોલીસ ટીમ તેને કસ્ટડીમાં લઈ રહી હતી તે દરમિયાન તેણે આ કુટિલ ચાલ ચાલી હતી.
અગાઉ જય દલાલ હત્યા કેસની તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાંચે ઉધના વિસ્તારના સાગર સોનવણે ઉર્ફે મણિયા ડુક્કરને મહારાષ્ટ્રના જલગાંવથી પકડી પાડ્યો હતો. તેની સઘન પૂછપરછમાં હત્યા ઉપરાંત ગેરકાયદે હથિયારોના મોટા નેટવર્કનો પર્દાફાશ થયો હતો, જેમાં મણિયા ડુક્કર અને જયેશ પાટીલે મળીને અનેક જગ્યાએથી શસ્ત્રો મેળવ્યા હતા. આ બંને આરોપીઓએ અસામાજિક તત્વોને હથિયારો સપ્લાય કર્યા હોવાની ચોંકાવનારી કબૂલાત કરી હતી. આ માહિતીના આધારે ક્રાઇમ બ્રાંચે તાજેતરમાં જ તેમની સામે આર્મ્સ એક્ટ હેઠળ અલગ-અલગ ત્રણ નવા ગુના નોંધીને કાયદેસરની તપાસનો વ્યાપ વધુ વિસ્તૃત કર્યો હતો અને આ મામલે કડક પૂછપરછ અનિવાર્ય હતી.
પોલીસ ચોપડે નોંધાયેલા આંકડાઓ મુજબ જયેશ બારકુ પાટીલનો ગુનાહિત ઇતિહાસ અત્યંત ગુનાખોરીથી ખરડાયેલો છે. તેની સામે નોંધાયેલા કુલ 35થી વધુ કેસોમાંથી પાંચથી વધુ કેસ આર્મ્સ એક્ટ સાથે હત્યાની કોશિશ એટલે કે કલમ ૩૦૭ના છે, જ્યારે અન્ય પાંચથી વધુ કેસ ઘાતક હથિયારો સાથે કરવામાં આવેલી લૂંટ અને ધાડના છે. આ પ્રકારે અંદાજે 10 જેટલા અત્યંત ગંભીર અને હીચકારા અપરાધો તેના નામે બોલે છે. હાલમાં ઈજાગ્રસ્ત કુખ્યાત જયેશ પાટીલ સંપૂર્ણ પોલીસ જાપ્તા અને કડક સુરક્ષા હેઠળ હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યો છે, અને ક્રાઇમ બ્રાંચ દ્વારા આ સમગ્ર મામલે કાયદાકીય પદ્ધતિ મુજબ આગળની સઘન કાર્યવાહી આરંભી દેવામાં આવી છે.