બિલ્ડીંગના મિલકતધારકો ચંદ્રેશભાઈ કપુપરા, નયનાબેન બલદાણીયા અને હર્ષાબેન માથુકીયાએ રેરામાં ત્રણ અલગ ફરિયાદો કરી હતી કે, રહેણાંક પ્લોટનું કલેક્ટર પાસેથી રિવાઈઝ્ડ બિનખેતી (કોમર્શિયલ) પરવાનગી લીધા વગર જ બિલ્ડરે 8 માળનું કોમ્પ્લેક્સ બનાવી દીધું છે. ફરિયાદીઓને પાર્કિંગ સુવિધા આપી ન હતી અને એ જ પાર્કિંગ અન્ય યુનિટ ધારકોને રૂ. અઢી લાખ લઈ વેચી દેવાયું હતું. બ્રોશરમાં ટેરેસ પર ટુ-વ્હીલર પાર્કિંગ અને વ્હીક્યુલર લિફ્ટ બતાવી હતી, પરંતુ પ્રત્યક્ષમાં કંઈ આપ્યું નથી. મંજૂર પ્લાનમાં ફરજિયાત દિવ્યાંગ ટોયલેટને રોડ સાઈડના જુડિયો શો-રૂમમાં મર્જ કરી દેવાયું અને પાર્કિંગ તથા ટેરેસમાં પ્લાન વિરુદ્ધ ગેરકાયદે બાંધકામ કરાયું છે.
બંને પક્ષોને સાંભળી રેરાએ ઠરાવ્યું કે, દસ્તાવેજમાં પાર્કિંગ ચાર્જ ભરનારને જ પાર્કિંગ ફાળવ્યું છે અને બાકીનાને મળશે નહીં તેવું જાહેર કરવું એ સુપ્રીમ કોર્ટના ચુકાદા વિરુદ્ધ છે. આથી પાર્કિંગ વેચાણ બદલ ખાસ સચિવ, રેરાએ સુઓમોટો કાર્યવાહી કરવા આદેશ કર્યો છે.
વધુમાં ટેરેસ પાર્કિંગ કાઢી નાખ્યાનો જે પ્લાન રજૂ કરાયો છે, તેમાં મ્યુ. કોર્પો.ના અધિકારીની સહી-સિક્કો કે મંજૂરી નંબર નથી, તેથી તે માન્ય નથી. આ ગેરકાયદે બાંધકામ અંગે આરએમસીને જરૂરી કાર્યવાહી કરવા હુકમની નકલ મોકલવા આદેશ કરાયો છે. ઓછી કેપેસિટીની લિફ્ટ મુકવા બદલ વળતર માટે એડજ્યુડિકેટિંગ ઓફિસર સમક્ષ જવા ફરિયાદીઓને અધિકૃત કરાયા છે.
ગુજરાતમાં બિલ્ડરો પાર્કિંગ વેચવાને અધિકાર સમજે છે, ત્યારે પ્રથમ વખત આર.કે. ગ્રુપ સામે આવો આદેશ થયો છે. હવે ત્રણેય ફરિયાદીઓએ ખાસ સચિવ, એડજ્યુડિકેટિંગ ઓફિસર અને ગુડામાં કાર્યવાહી શરૂ કરી છે. ફરિયાદી પક્ષે એડવોકેટ વિકાસ શેઠ, અલ્પા શેઠ, કેતન પરમાર, સિરાજ ઘાંચી અને માર્શલ રાઠોડ રોકાયા હતા.