ઘઉંનો ટેકાનો ભાવ રૂ. ૨,૫૮૫ જાહેર: ખેડૂતો ૧લી માર્ચ સુધી ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે ઓનલાઇન નોંધણી કરાવી શકાશે
રાજ્યના ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ભારત સરકાર દ્વારા રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૬-૨૭ માટે ઘઉંનો લઘુત્તમ ટેકાનો ભાવ રૂ. ૨,૫૮૫/- પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે. આ અંતર્ગત ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ મારફતે ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરવામાં આવશે. લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતોએ સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે તારીખ ૦૧/૦૩/૨૦૨૬ સુધી ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે. નોંધણી થયેલ ખેડૂતો પાસેથી ઘઉંની ખરીદી આગામી તા. ૦૪/૦૩/૨૦૨૬ થી ૧૫/૦૫/૨૦૨૬ દરમિયાન કરવામાં આવશે.
નાયબ જિલ્લા મેનેજર, ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિ.ની યાદીમાં જણાવ્યા અનુસાર, ખેડૂત ખાતેદારોએ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા જ નોંધણી કરાવવાની રહેશે. નોંધણી માટે આધાર કાર્ડની નકલ, અધ્યતન ગામ નમૂનો ૭/૧૨ અને ૮/અ તથા જો પાકની વાવણી અંગેની એન્ટ્રી ઉતારામાં ન હોય તો તલાટીના સહી-સિક્કા વાળો દાખલો રજૂ કરવાનો રહેશે. આ ઉપરાંત ખેડૂતના નામના બેંક ખાતાની વિગત માટે પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક સાથે લાવવાનો રહેશે. ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરનાર ખેડૂતોની નોંધણી રદ કરવામાં આવશે અને તેમને ખરીદી માટે જાણ કરવામાં આવશે નહીં.
ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશન કરાવનાર ખેડૂતોને SMS મારફતે ખરીદીના સમય અને સ્થળની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધાર કાર્ડ કે ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે અને બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન બાદ જ જથ્થાની ખરીદી કરવામાં આવશે. નોંધણી બાબતે કોઈ પણ મુશ્કેલી જણાય તો ખેડૂતો નિગમના હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ અથવા ૮૫૧૧૧૭૧૭૧૯ પર સંપર્ક કરી શકે છે તેમ સત્તાવાર યાદીમાં વધુમાં જણાવાયું છે.