અમદાવાદ શહેરમાં આગામી સમયમાં યોજાનારી ભગવાન જગન્નાથની ઐતિહાસિક 149મી રથયાત્રાને લઈને પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ વર્ષે પણ રથયાત્રા પરંપરાગત શ્રદ્ધા, શાંતિપૂર્ણ અને સંપૂર્ણ ભયમુક્ત વાતાવરણમાં સંપન્ન થાય તે માટે પોલીસ વિભાગ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સુરક્ષાની વાસ્તવિક સ્થિતિ ચકાસવા અને જવાનોને એલર્ટ કરવાના ભાગરૂપે આજે પોલીસ વિભાગ દ્વારા રથયાત્રાના સમગ્ર રૂટ પર રિહર્સલનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 2000થી વધુ પોલીસ જવાનો જોડાયા હતા.
આ સુરક્ષા રિહર્સલની ગંભીરતાને જોતા પોલીસ વિભાગના તમામ ઉચ્ચ અધિકારીઓ પોતે રસ્તા પર ઉતરી આવ્યા હતા. રિહર્સલ દરમિયાન પોલીસ કમિશનર (સીપી), જોઈન્ટ પોલીસ કમિશનર (જેસીપી) અને તમામ ડેપ્યુટી પોલીસ કમિશનર (ડીસીપી) કક્ષાના ઉચ્ચ અધિકારીઓ રિહર્સલમાં જોડાયા હતા. રથયાત્રાના રૂટ પર સુરક્ષા વ્યવસ્થામાં કોઈ પણ નાની કે મોટી ખામી ન રહી જાય તે માટે ઉચ્ચ અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ સમગ્ર બંદોબસ્તનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે પ્લાનને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.
રિહર્સલમાં 2000થી વધુ પોલીસકર્મીઓ અને સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. અગાઉથી નિશ્ચિત કરવામાં આવેલા સુરક્ષા પ્લાન મુજબ તમામ જવાનોને રૂટના અલગ-અલગ પોઈન્ટ્સ પર ગોઠવવામાં આવ્યા હતા. કોઈપણ કટોકટીના સમયે કે અણધારી પરિસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેવી રીતે જાળવવી, ભીડનું નિયંત્રણ કેવી રીતે કરવું અને ટ્રાફિક વ્યવસ્થા કેવી રીતે જાળવવી તેનું જવાનો દ્વારા જીવંત નિરીક્ષણ અને પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આ મેગા રિહર્સલ જમાલપુર સ્થિત ઐતિહાસિક જગન્નાથ મંદિરથી શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ રથયાત્રાના પરંપરાગત અને નિયત કરાયેલા સમગ્ર રૂટ પર આ કાફલો પસાર થયો હતો. રથયાત્રા જે વિસ્તારોમાંથી પસાર થવાની છે તે તમામ સંવેદનશીલ વિસ્તારો, સાંકડી ગલીઓ અને વ્યસ્ત મુખ્ય માર્ગો પર સુરક્ષા વ્યવસ્થાને કડક રીતે ચકાસવામાં આવી હતી જેથી યાત્રાના દિવસે કોઈ અડચણ ઊભી ન થાય.
આ મહાઅભિયાનમાં સ્થાનિક પોલીસની સાથે સાથે સ્ટેટ રિઝર્વ પોલીસ (એસઆરપી) અને કેન્દ્રીય સુરક્ષા બળ તરીકે ઓળખાતી રેપિડ એક્શન ફોર્સ (આરએએફ) જેવી વિશેષ ટુકડીઓ પણ જોડાઈ હતી. કોઈપણ અનિચ્છનીય ઘટના કે તોફાની તત્વોને તાત્કાલિક કાબૂમાં લેવા માટેની આધુનિક ટેકનોલોજી અને હથિયારો સાથે સુરક્ષા એજન્સીઓ અત્યારથી જ હાઈ એલર્ટ મોડ પર આવી ગઈ છે. પોલીસ તંત્રના આ આગોતરા આયોજનને કારણે શાંતિપ્રિય નાગરિકો અને ભક્તોમાં સુરક્ષાને લઈને ભારે વિશ્વાસ જોવા મળી રહ્યો છે.