પવિત્ર રક્ષાબંધનના પર્વ નિમિત્તે રાજકોટ ખાતે પોપટપરામાં આવેલી સેન્ટ્રલ જેલમાં અત્યંત લાગણીસભર અને ભાવુક વાતાવરણ સર્જાયું હતું. વિવિધ ગુનાઓ હેઠળ જેલમાં સજા કાપી રહેલા પોતાના ભાઈઓના કાંડે સ્નેહ અને સુરક્ષાનું પ્રતીક એવી રાખડી બાંધવા માટે બહેનો મોટી સંખ્યામાં ઉમટી પડી હતી. લાંબા સમયથી જેલની ચાર દીવાલો વચ્ચે સજા ભોગવી રહેલા ભાઈઓને જ્યારે તેમની બહેનોએ રૂબરૂ મળીને રાખડી બાંધી ત્યારે ભાઈ બહેન વચ્ચેનો સ્નેહ બંનેની આંખોમાંથી વરસતો જોવા મળ્યો હતો. સમગ્ર જેલ પરિસર લાગણીશીલ દ્રશ્યોનું સાક્ષી બન્યું હતું.
બહેનોએ ભાઈઓના કાંડે રક્ષાકવચ બાંધવાની સાથે જ તેમને ભવિષ્યમાં ક્યારેય પણ કોઈ ખોટા રસ્તે ન જવાની તથા સજા પૂરી થયા બાદ નવેસરથી સન્માનજનક જીવન શરૂ કરવાની મહત્ત્વપૂર્ણ શિખામણ આપી હતી. તો ભાવુક ક્ષણે કેદી ભાઈઓએ પણ પોતાની બહેનોને ગુનાખોરીનો માર્ગ છોડી ભવિષ્યમાં પોતાના પરિવારજનો સાથે રહીને એક સમાજના આદર્શ અને જવાબદાર નાગરિક તરીકે જીવન વિતાવશે તેવી ખાતરી આપી હતી.
આ પવિત્ર પર્વની ઉજવણી શાંતિપૂર્ણ અને સુચારુ રીતે થાય તે માટે જેલ સત્તાવાળાઓ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.