જામનગરના બિલ્ડર મેરામણ પરમાર આપઘાત કેસમાં દોઢ વર્ષ બાદ ફરિયાદ, નામાંકિત 11 લોકો સામે ગુનો
જામનગરના જાણીતા બિલ્ડર મેરામણ પરમાર આપઘાત કેસમાં મોટો ખુલાસો, વ્યાજખોરોના ત્રાસથી કંટાળી બિલ્ડરે આપઘાત કર્યો હોવાનો પરિવારનો આક્ષેપ

જામનગરના રિયલ એસ્ટેટ ક્ષેત્રે મોટું નામ ધરાવતા બિલ્ડર મેરામણ પરમાર આપઘાત કેસમાં દોઢ વર્ષ બાદ મોટો અપડેટ સામે આવ્યો છે. મેરામણ પરમારે વ્યાજખોરોના કથિત માનસિક ત્રાસથી કંટાળીને ઝેરી દવા પી આપઘાત કર્યો હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.ઘટનાના આશરે દોઢ વર્ષ બાદ અડાલજ પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં જામનગરના કુલ 11 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પરિવારના આક્ષેપ મુજબ, મેરામણ પરમાર પાસેથી કરોડો રૂપિયાના વ્યાજની વસૂલાત કરવામાં આવી હતી. એટલું જ નહીં, તેમની પ્રોપર્ટી પણ લખાવી લેવામાં આવી હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. આ કેસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. મેરામણ પરમારના આપઘાતના આશરે 10 દિવસ બાદ તેમના ઘરમાંથી બે સ્યૂસાઈડ નોટ મળી આવી હોવાનું પરિવાર તરફથી જણાવાયું છે. આ સ્યૂસાઈડ નોટમાં કથિત રીતે વ્યાજખોરોના ત્રાસ અને નાણાકીય લેવડદેવડ અંગે વિગતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
જામનગરના બિલ્ડર મેરામણ પરમાર આપઘાત કેસમાં મૃતક બિલ્ડરની 153 કરોડથી વધુ કિંમતની 28 પ્રોપર્ટી પચાવી પાડ્યાનો પણ ફરિયાદમાં આક્ષેપ. જામનગરના પ્રખ્યાત વાઢેર પરિવાર અને દોમડીયા પરિવાર સહિત 11 લોકો સામે ગુનાહિત ષડયંત્ર અને આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો.
મૃતક બિલ્ડરના પુત્ર દેવ પરમારે અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલો સામે આવ્યો. મેરામણ પરમાર જામનગર અને અમદાવાદના રિયલ એસ્ટેટ ક્ષેત્રે મોટું નામ ધરાવતા હતા. વર્ષ 2016માં સૌરાષ્ટ્રની પ્રથમ રૂ.6.5 કરોડની રોલ્સ રોયસ કાર ખરીદીને પણ તેઓ ચર્ચામાં આવ્યા હતા. ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ છે કે વર્ષ 2020માં મોડી રાત્રે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો
આ મામલે અડાલજ પોલીસ મથકમાં નીચેના 11 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે:
1. ભીખુભા હરીસિંહ વાઢેર
2. ધવલસિંહ ભીખુભા વાઢેર
3. વિરેન્દ્રસિંહ ભીખુભા વાઢેર
4. શૈલેન્દ્રસિંહ ભીખુભા વાઢેર
5. ગજરાબા ભીખુભા વાઢેર
6. અનિતાબા વિરેન્દ્રસિંહ વાઢેર
7. કશ્મીરાબા ધવલસિંહ વાઢેર
8. પ્રવિણાબા શૈલેન્દ્રસિંહ વાઢેર
9. પ્રવિણ લક્ષ્મણ દોમડીયા
10. કાંતાબેન પ્રવિણ દોમડીયા
11. વિશાલ પ્રવિણ દોમડીયા

હવે પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. સ્યૂસાઈડ નોટમાં કરવામાં આવેલા ઉલ્લેખો, નાણાકીય વ્યવહારો તેમજ મિલકતના વ્યવહારોની તપાસ બાદ સમગ્ર કેસમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.