ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વિવિધ સરકારી કચેરીઓ અને સંસ્થાઓને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈ-મેઇલ મળવાનો સિલસિલો યથાવત છે. આજે સુરતના ઉમરા વિસ્તારમાં આવેલી પાસપોર્ટ ઓફિસને ઈ-મેઇલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો અને બોમ્બ સ્ક્વોડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સમગ્ર પરિસરનું સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. નોંધનીય છે કે, આ ઘટનાના માત્ર બે દિવસ પહેલાં જ સુરત કોર્ટને પણ આ જ રીતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. શહેરમાં વારંવાર બનતી આ પ્રકારની ઘટનાઓથી સ્થાનિક તંત્ર અને નાગરિકોની ચિંતામાં મોટો વધારો થયો છે.
આ અગાઉ ૧૭ જૂન, ૨૦૨૬ના રોજ રાજ્યના ચાર મોટા શહેરો વડોદરા, સુરત, ભાવનગર અને જામનગર મહાનગરપાલિકાની કચેરીઓને પણ બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈ-મેઇલ મળ્યો હતો. આ મેઇલ સીધા જ મ્યુનિસિપલ કમિશનર અને મેયરના સત્તાવાર મેઇલ આઈડી પર મોકલવામાં આવ્યા હતા. ધમકી મળતાની સાથે જ વહીવટી તંત્રમાં અફરાતફરી મચી ગઈ હતી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ, ડોગ સ્ક્વોડ તેમજ બોમ્બ સ્ક્વોડની ટીમોએ સરકારી કચેરીઓમાં મોરચો સંભાળીને મેગા સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જોકે વાંધાજનક કોઈ વસ્તુ મળી નહોતી.
ધમકીભર્યા મેઇલમાં 'ખાલિસ્તાન નેશનલ આર્મી' દ્વારા દેશના ગૃહમંત્રી અમિત શાહની ઓફિસે બપોરે ૩:૧૧ વાગ્યે બ્લાસ્ટ કરવાની ખુલ્લી ધમકી આપવામાં આવી હતી. મેઇલની ભાષા અત્યંત ઉશ્કેરણીજનક હતી, જેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે, ‘પંજાબી નિશાના અમિત શાહ, હિન્દુ અત્તવાદી, શહીદ નિજ્જર દા બદલા’ અને ‘અમિત શાહનું ધમાકા વીચ ટુકડે ટુકડે કરકે’. આ ધમકી પરથી સ્પષ્ટ થાય છે કે ખાલિસ્તાની તત્ત્વો હરદીપસિંહ નિજ્જરની હત્યાનો બદલો લેવા માટે ડરનો માહોલ ઊભો કરી રહ્યા છે.