રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં પાંચ આવૃત્તિઓ ધરાવતા એક માત્ર સાંધ્ય દૈનિક 'આજકાલ'ના આદ્યપુરૂષ અને રાજકોટના અગ્રગણ્ય ઉદ્યોગપતિ શેઠશ્રી ધનરાજભાઇ જેઠાણીનો આજે તા.૭ જાન્યુઆરીના રોજ જન્મદિવસ છે. આજે તેમણે સફળત્તમ જીવનના ૭૫ વર્ષ પૂર્ણ કરી ૭૬મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે.
'આજકાલ' દૈનિક પરિવારના મોભી ધનરાજભાઇ જેઠાણીના જન્મદિવસના મંગલ અવસરે આજે સમગ્ર જેઠાણી પરિવાર અને 'આજકાલ' દૈનિક પરિવારમાં અનેરી ખુશીનો માહોલ છવાયો છે. પ્રિન્ટ મીડિયા જગતમાં ધનરાજ ન્યુઝ એન્ડ મીડિયા પ્રા.લિ.ગ્રુપએ ટૂંકા સમયગાળામાં સફળતાના સોપાનો સર કરી નવી ગાથા આલેખી છે. ધનરાજભાઇ જેઠાણીના માર્ગદર્શન હેઠળ 'આજકાલ' દૈનિકની રાજકોટ, જામનગર, અમદાવાદ, ભાવનગર અને પોરબંદર સહિતની કુલ પાંચ આવૃત્તિઓ પ્રગતિના પંથે દોડી રહી છે. દર મિનિટે અપડેટ થતી અને દેશ-પરદેશમાં સુપ્રસિધ્ધ 'આજકાલ'ની છઠ્ઠી આવૃતિ સમી વેબસાઇટ www.aajkaaldaily.comની દરરોજ લાખો વ્યુઅર્સ વિઝીટ કરે છે. વેબસાઇટ ઉપરાંત 'આજકાલ'ની લેટેસ્ટ ન્યુઝ અપડેટ્સ અને વ્હોટ્સ એપ બ્રેકિંગ ન્યૂઝ સર્વિસ પણ અત્યંત લોકપ્રિય બની છે. માત્ર આટલું જ નહીં પરંતુ ધનરાજભાઇએ કુશાગ્ર બુધ્ધિ અને આવડતથી મીડિયા જગતમાં નવા માઇલસ્ટોન સ્થાપી પોતાની પરિપક્વતા, પ્રામાણિકતા અને હકારાત્મક અભિગમનો દુનિયાને પરિચય કરાવ્યો છે. 'આજકાલ' દૈનિકના માધ્યમથી રાજકોટને વિરાણી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં નવરાત્રિ ગરબા મહોત્સવ, રેસકોર્સ ગ્રાઉન્ડમાં ઓટો એક્સેલરેટર અને એડ્યુફેસ્ટ, માધવરાવ સિંધિયા ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ઇન્ટરપ્રેસ સિઝન ક્રિકેટ ટૂર્નામેન્ટ, હેમુ ગઢવી હોલ ખાતે વિમેન્સ પાર્લામેન્ટ, આત્મીય કોલેજ ગ્રાઉન્ડ ખાતે સમૂહ લગ્નોત્સવ તેમજ શહેરની નામાંકિત હોટેલ્સમાં વિમેન્સ ડે એવોર્ડ, ઇમ્પિરિયા એવોર્ડ સમારોહ સહિતની અનેક ઇવેન્ટ્સની ભેટ આપી છે.
જીવનયાત્રામાં શૂન્યમાંથી સર્જન કરી સખત પરિશ્રમ, પ્રામાણિકતા, વચનબધ્ધતા, અખૂટ આત્મવિશ્વાસ અને મકકમ મનોબળ તેમજ કોઠાસૂઝ અને સાહસના સથવારે ધનરાજભાઇ જેઠાણી એક કોમનમેનમાંથી સફળ બિઝનેસ ટાયકુનના સ્થાને પહોંચ્યા છે. રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં ધનરાજ બિલ્ડર્સ પ્રા.લિ.નું સફળ સંચાલન કરી માત્ર રાજકોટ મહાનગરપાલિકા કે રૂડા વિસ્તાર જ નહીં પરંતુ ગુજરાતના અન્ય શહેરોમાં પણ તેમણે અનેક સફળ પ્રોજેક્ટ્સ આપ્યા છે અને હજુ પણ સફળ પ્રોજેક્ટ આપવા તેઓ સતત પ્રવૃત્તિમય છે.
ધનરાજભાઇ જેઠાણી રિઅલ એસ્ટેટ અને મીડિયા ક્ષેત્ર ઉપરાંત બોલિવૂડમાં રાજકોટ અને ગુજરાતનું નામ રોશન કરી ચુકયા છે. વર્ષ-૨૦૧૧માં બોલિવૂડમાં ‘બિન બુલાયે બારાતી' નામની હિન્દી ફિલ્મ પ્રોડયુસ કરી હતી. જે ફિલ્મે દર્શકોની દાદ મેળવી હતી. બોલિવૂડમાં ફિલ્મ પ્રોડક્શન ઉપરાંત ડિસ્ટ્રીબ્યુશન ક્ષેત્રમાં પણ ધનરાજભાઇ જેઠાણીએ હાથ અજમાવ્યો છે અને 'હેટ સ્ટોરી' તેમજ ‘૧૯૨૦ એવિલ રિટર્ન' નામની બે ફિલ્મનું સમગ્ર ભારતમાં ડિસ્ટ્રીબ્યુશન કરી જબરી સફળતા હાંસલ કરી છે. ધનરાજ ફિલ્મ્સ પ્રા.લિ. દ્વારા પ્રોડ્યૂસ કરાયેલી 'અંકુર અરોરા મર્ડર કેસ' નામની હિન્દી ફિલ્મે બુધ્ધિજીવી દર્શકોની દાદ મેળવી હતી. જયારે વર્ષ-૨૦૧૫માં 'યુવા' ફિલ્મ પ્રોડ્યુસ કરી હતી જેણે યુવા હૈયાઓમાં અમીટ છાપ છોડી છે.
સફળ ઉદ્યોગપતિ, મીડિયા હાઉસના માલિક અને બોલિવૂડમાં ફિલ્મ પ્રોડ્યુસર તેમજ ડિસ્ટ્રીબ્યુટર હોવા ઉપરાંત ધનરાજભાઇ અનન્ય સમાજસેવક છે. રાજકોટ શહેર અને સૌરાષ્ટ્રની અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાઇને તેમણે સેવા અને કર્તવ્યપરાયણતા દિપાવી છે. તેઓ સૌરાષ્ટ્ર સિંધી સમાજના કર્તાહર્તા અને સમાહર્તા તરીકે સક્રિય ફરજ બજાવી રહ્યા છે. છેલ્લા બે દાયકાથી રાજકોટ ખાતે રેસકોર્સ સહિતના ગ્રાઉન્ડમાં સમગ્ર સૌરાષ્ટ્રના સિંધી સમાજના સમુહ લગ્નોત્સવ અને સમુહ યજ્ઞોપવિત સમારોહનું સફળ આયોજન કરી સિંધી સમાજને નવો રાહ ચિંધ્યો છે. કોરોનાકાળમાં માતા-પિતા બન્નેની છત્રછાંયા ગુમાવનાર સર્વ જ્ઞાતિ-સર્વ સમાજની ૨૧ કન્યાનો સમુહ લગ્નોત્સવ 'લાડકડીનો લગ્નોત્સવ' શિર્ષક હેઠળ યોજીને તેમણે મહાજન પરંપરાને દીપાવી છે. રાજકોટ મહાનગરપાલિકામાંથી ગુરૂનાનક ચોક નામકરણનો ઠરાવ સર્વાનુમતે પસાર કરાવી તક્તી અનાવરણ સાથે તેમણે રાજકોટના સિંધી સમાજનું વર્ષો જૂનું સ્વપ્ન સાકાર કર્યું છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં સિંધી સમાજ દ્વારા યોજાતા તમામ કાર્યક્રમોમાં મુખ્ય મહેમાન પદે શેઠશ્રી ધનરાજભાઇ જેઠાણીની જાજરમાન ઉપસ્થિતિ અચૂક હોય છે. વિકાસશીલ વિચારધારા ધરાવતા શેઠશ્રી ધનરાજભાઇ જેઠાણી સામાજિક કુરિવાજો દૂર કરી અંતરથી આધુનિક બની જીવનને પ્રગતિશીલ બનાવવા અનુરોધ કરતા રહે છે.
શેઠશ્રી ધનરાજભાઇ જેઠાણીના જન્મદિવસએ મિત્રો, સગા-સ્નેહીઓ, શુભેચ્છકો, બિલ્ડર્સ અને ડેવલપર્સ, રાજનેતાઓ, તંત્રીઓ, પત્રકારો, ગ્રામ્ય પ્રતિનિધિઓ અને એજન્ટ મિત્રો તેમજ એડ એજન્સીઓ તરફથી આજે સવારથી શુભેચ્છા વર્ષા થઇ રહી છે. શેઠશ્રી ધનરાજભાઇ જેઠાણીને આજકાલ દૈનિક પરિવારે ‘શતમ્ જીવ શરદ:'ની શુભકામનાઓ પાઠવી છે.