મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ઝાલદડા ગામે માનવતાને શર્મશાર કરે તેવી કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. કૌટુંબિક કલેશ અને શંકાના વહેમમાં અંધ બનેલા એક કળયુગી પિતાએ પોતાના જ માત્ર 3 મહિનાના વહાલસોયા માસૂમ પુત્રને કૂવામાં ફેંકી દઈ નિર્મમ હત્યા કરી નાખી છે. આ કરુણ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
મળતી માહિતી મુજબ, ઝાલદડા ગામે રહેતા આશીષ ભુરીયા નામના શખ્સને તેની પત્ની હિનાબેન સાથે અવારનવાર ઝઘડા થતા હતા. પત્ની વારંવાર પિયર કેમ જાય છે તે બાબતે તકરાર થતી હતી. આ સાથે જ પતિ પત્નીના ચારિત્ર્ય પર શંકા પણ રાખતો હતો. ઘટનાના દિવસે પિયર જવાની બાબતે દંપતી વચ્ચે ફરીથી ઉગ્ર બોલાચાલી થઈ હતી. ગૃહક્લેશમાં આવેશમાં આવી ગયેલા પિતા આશીષ ભુરીયાએ તમામ મર્યાદાઓ નોંધીને પોતાના જ ૩ મહિનાના માસૂમ પુત્ર લવ્યાંશને ઘર નજીક આવેલા કૂવામાં ફેંકી દીધો હતો.
પાણીમાં ડૂબી જવાના કારણે ૩ મહિનાના માસૂમ લવ્યાંશનું કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને બાળકના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. બાદમાં બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો.
આ મામલે મૃતક બાળકની માતા હિનાબેને સંતરામપુર પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ સામે ફરિયાદ નોંધાવી છે. પત્નીની ફરિયાદના આધારે પોલીસે નરાધમ પિતા આશીષ ભુરીયા સામે હત્યાનો ગુનો નોંધી તેની અટકાયત માટે ચક્રો ગતિમાન કર્યા છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.