BREAKING NEWS

જામનગર: લાલપુર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી સામે એટ્રોસીટી એક્ટ મુજબ ગુન્હો નોંધવા સ્પેશીયલ કોર્ટમાં કરાતી ફરીયાદ

  • August 19, 2026 12:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: લાલપુર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી સામે એટ્રોસીટી એક્ટ મુજબ ગુન્હો નોંધવા સ્પેશીયલ કોર્ટમાં કરાતી ફરીયાદ

ફરીયાદી ભરતભાઈ દિનેશભાઈ ગોહીલ તથા તેના મોટાભાઈ ગૌતમભાઈ દિનેશભાઈ ગોહીલ લાલપુર તાલુકાના ખડખંભાળીયા ગામેથી છોટાહાથી વાહન લઈને સાજડીયાળી ગામે મરેલ ઢોર ઉપાડવા જઈ રહીયા હતા, ત્યારે ખડખંભાળીયા ગામના પાદરમાં આરોપીઓ વિપુલભાઈ કોટા (પો.કો.), જાડેજા મનહરસિંહ (બીટ જમાદાર) લાલપુર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી બેઠા હતા, તેઓને અગાઉ ફરીયાદીના પિતા ઉપર જામીનનું વોરંટ બજાવવા બાબતે મનદુ:ખ થયેલ હતું, તેનો અંગત ખાર રાખી ફરીયાદી તથા તેના ભાઈને જોઈને તેઓના છોટાહાથી વાહનની પાછળ સફેદ કલરનું બુલેટ મોટરસાયકલ લઈને આરોપીઓ પાછળ-પાછળ આવતા હતા, ત્યારે ફરીયાદીને ખટીયા ગામે ખંભાળીયા હાઈવે તથા જામનગર સમાણા જામજોધપુર ચોકડીએ ફરીયાદીના છોટાહાથી વાહનને ઓવરટેક કરી ફરીયાદીના વાહનની આગળ આડી બુલેટ મોટરસાયકલ ઉભી રાખીને ફરીયાદીને રોકેલ અને કહેવા લાગેલ કે, તારી ગાડીના કાગળો બતાવ ત્યારે ફરીયાદીએ એવો જવાબ આપેલ કે, વરસાદ જેવું વાતાવરણ છે એટલે ગાડીના કાગળો સાથે લીધેલ નથી, એટલું કહેતા તો ફરીયાદીનો મોબાઈલ આરોપી નં.-૧ વાળાએ જુટવી લીધેલ અને નીચે જમીન ઉપર ઘા કરી ભાંગી નાખેલ, તેમજ ફરીયાદીના મોટાભાઈનો ફોન આરોપી નં.-ર વાળાએ જુટવીને જમીન ઉપર ઘા કરીને દિધેલ હતો.

ત્યારબાદ ફરીયાદીને બન્ને આરોપીઓ આડેધડ ઢીકાપાટુનો માર મારવા લાગેલા હતા, અને ફરીયાદી તથા તેના મોટાભાઈએ આરોપીઓને માંડમાંડ આજીજી કરતા મારકુટ કરવાનું બંધ કરેલ અને આરોપીઓએ અપમાનિત શબ્દો બોલેલ ત્યારે રસ્તામાં અન્ય મુસાફરો આ બનાવ જોવા માટે ઉભા રહેલ તો તેઓને પણ આ બન્ને આરોપીઓએ ગાળો બોલી કાઢી મુકેલ ત્યારબાદ આ બન્ને આરોપીઓ ફરીયાદીને ધમકી આપી ગયેલ કે,તને મારકુટ કરેલ છે તેની પોલીસ ફરીયાદ કરીશ તો તને ખોટા કેસમાં ફીટ કરી દઈશ અને તારું છોટાહાથી વાહન ડિટેઈન કરી દઈશ અને વાહન છુટવા નહી દઉ’ તેવી ધમકી આપીને ચાલ્યા ગયેલ હતા, ત્યારબાદ ૧૦૮ એમ્બ્યુલન્સમાં ફરીયાદી તથા તેના ભાઈને જી.જી. હોસ્પીટલમાં સારવાર માટે લઈ ગયેલ અને ફરીયાદીને જી.જી. હોસ્પીટલમાં એક દિવસ દાખલ રાખી બીજા દિવસે રજા આપવામાં આવેલ અને ફરીયાદીએ આરોપીઓ સામે ગુન્હો નોંધવા લેખીતમાં જામનગર ડીએસપી કચેરીમાં અરજી કરેલ.

 જે અરજીની લાલપુર પોલીસ સ્ટેશનને તપાસ સોંપવામાં આવેલ તેમાં આરોપીઓ લાલપુર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી હોય, તેઓની સામે ગુન્હો નોંધેલ નહીં, જેથી ફરીયાદીએ આ આરોપીઓ સામે ગુન્હો નોંધવા સ્પેશીયલ એટ્રોસીટી કોર્ટ જામનગરમાં ફરીયાદ કરેલ જે ફરીયાદમાં આરોપીઓ સામે ગુન્હો નોંધવા ઈન્કવાયરી ચલાવવાનો સ્પેશીયલ એટ્રોસીટી કોર્ટ દ્રારા હુકમ કરવામાં આવેલ છે.આ કામમાં ફરીયાદી તરફે એડવોકેટ પરબત વી. મકવાણા, કશ્યપ એ. ત્રીવેદી, પૂનમ જી. ચૌહાણ, ટ્રેઈની ઉર્વીશા એમ. લીંબાસીયા તથા ટ્રેઈની વિશાલ પી. મકવાણા રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application