૭૮ દિવસનો પ્રતિબંધ પૂર્ણ: સલાયા બંદરેથી માછીમારી માટે બોટો દરિયામાં રવાના
ઓનલાઈન ટોકન અને જરૂરી પરવાનગીની પ્રક્રિયા પૂર્ણ થતાં સલાયા બંદરે અનેક બોટો રવાના
માછલીઓના પ્રજનનકાળને ધ્યાનમાં રાખીને દરિયામાં માછીમારી પર લગાવવામાં આવેલો ૭૮ દિવસનો પ્રતિબંધ પૂર્ણ થયો છે. આ સાથે જ સલાયા બંદરેથી ૧૭ ઓગસ્ટથી માછીમારીની નવી સિઝનનો પ્રારંભ થયો છે.
માછીમારી પર ૩૧ મે થી ૧૫ ઓગસ્ટ સુધી પ્રતિબંધ અમલમાં હતો. ૧૫ ઓગસ્ટની રાત્રે માછીમારોના ટોકન ઇસ્યુ કરવાની પ્રક્રિયા શરૂ થવાની હતી, પરંતુ ટોકન ઇસ્યુ સોફ્ટવેરમાં ટેક્નિકલ ખામી સર્જાતા પ્રક્રિયામાં વિલંબ થયો હતો.
સલાયા માછીમાર મંડળીના પ્રમુખ સીદીક આદમ જસરાયે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, સોફ્ટવેરની ખામીને કારણે ટોકન ઇસ્યુ કરવામાં વિલંબ થયો હતો. ત્યારબાદ ૧૭ ઓગસ્ટે બપોરે ૧૨ વાગ્યા બાદ ઓનલાઈન ટોકન અને જરૂરી પરવાનગીની પ્રક્રિયા પૂર્ણ થતાં સલાયા બંદરેથી હજારો નાની-મોટી બોટો માછીમારી માટે દરિયામાં રવાના થઈ હતી.
નવી સિઝનના પ્રારંભ સાથે રાજ્યના વિવિધ બંદરો પરથી પણ મોટી સંખ્યામાં માછીમારી બોટો દરિયામાં પ્રસ્થાન કરી હતી. નવી માછીમારી સિઝનને લઈને માછીમાર સમાજમાં ઉત્સાહ જોવા મળ્યો છે અને તેઓ પ્રથમ ટ્રિપમાં વધુ માલ મળવાની આશા રાખી રહ્યા છે.