BREAKING NEWS

સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ જામનગર 'શ્રવણ' બની 60 વર્ષથી ઉપરના વડીલોને કરાવી યાત્રા

  • August 21, 2026 09:44 AM 

સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ જામનગર 'શ્રવણ' બની 60 વર્ષથી ઉપરના વડીલોને કરાવી યાત્રા

શહેરના 260 વડીલોને કરાવી શ્રી સોમનાથ જ્યોતિર્લિંગની યાત્રા

પવિત્ર શ્રાવણ માસના દિવ્ય અવસરે, જ્યારે દરેક વ્યક્તિ પુણ્યનું ભાથું બાંધવા તત્પર હોય છે, ત્યારે જામનગરના સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સતત પાંચમાં વર્ષે પણ એક અનોખો સેવા યજ્ઞ આયોજિત કર્યો હતો. આધુનિક સમયમાં શ્રવણ કુમારની ભાવનાને સાચા અર્થમાં ચરિતાર્થ કરતા, સંસ્થા દ્વારા સર્વ જ્ઞાતિના વરિષ્ઠ નાગરિકો માટે બે દિવસીય ‘શ્રવણ યાત્રા'નું આયોજન કરવામાં આવ્યું હતું. પોતાની સામાજિક જવાબદારીના ભાગરૂપે સતત પાંચમાં વર્ષે આયોજિત આ યાત્રામાં 260 જેટલા 60 વર્ષ કે તેથી વધુ ઉમરના વડીલોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અને દેવાધિદેવ શ્રી સોમનાથ મહાદેવના દર્શનનો લ્હાવો લીધો હતો.

આ શ્રવણ યાત્રા તા.17/08/26 સોમવારે રાત્રે 9:00 કલાકે જામનગર થી પ્રસ્થાન કર્યું પ્રસ્થાન સમયે બ્રહ્મસમાજ નું ગૌરવ એવા રાજુભાઈ મહાદેવ તથા ડિમ્પલબેન મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ યાત્રા વહેલી સવારે 4:00 કલાકે વેરાવળ ખાતે પહોંચી હતી અને ત્યાં વડીલો માટે આરામ કરવા ઉતારાની વ્યવસ્થા રાખવામાં આવી હતી. તા.18/0/8/26 મંગળવારે સવારે વેરાવળ ઉતારા ખાતેથી ચા પાણી નાસ્તો કરી શ્રી સોમનાથ મહાદેવ મંદિર ખાતે દર્શનાર્થે પહોંચી હતી ભગવાન ભોળાનાથના દર્શન કરી સંસ્થા દ્વારા ત્યાં બપોરની મહાપ્રસાદ ભોજન ની વ્યવસ્થા રાખવામાં આવી હતી.

ભોજન બાદ બપોરે શ્રી ભાલકા તીર્થ દર્શન કરાવી વેરાવળ ખાતે પહોંચી ત્યાં બપોરે વડીલો ને આરામ કરવા સાંજે ચા કોફી ગ્રહણ કરી પરત જામનગર જવા આ યાત્રા નીકળી હતી. સંસ્થા દ્વારા ધોરાજી ખાતે સાંજના ભોજન તથા ફલાહાર ની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી અને રાત્રિની ભોજન ગ્રહણ કર્યા બાદ બધા વડીલો માટે આઈસ્ક્રીમની પણ વ્યવસ્થા રાખવામાં આવી હતી.

આ સંપૂર્ણ યાત્રાનું આયોજન વડીલો માટે નજીવા દરે કરવામાં આવ્યું હતું. દરેક યાત્રાળુ પાસેથી ફક્ત 200 રૂપિયાનો ટોકન ચાર્જ લેવામાં આવ્યો હતો, જેની સામે સંસ્થા દ્વારા બસમાં આવવા—જવાની સુવિધા, સવારે અને સાંજે ચા-નાસ્તાની વ્યવસ્થા તથા બપોરે સોમનાથ ખાતે અને રાત્રીના ધોરાજી ખાતે શુદ્ધ અને સાત્વિક ભોજનની સુંદર વ્યવસ્થા તેમજ વેરાવળ ખાતે ઉતારાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ શ્રવણ યાત્રામાં 260 વડીલોની દેખરેખ અને સુવિધા માટે સંસ્થાના 20 જેટલા નિષ્ઠાવાન સ્વયંસેવકો ખડેપગે રહ્યા હતા અને દરેક યાત્રાળુની અંગત કાળજી લીધી હતી. આ ઉમદા કાર્યમાં ગુજરાત સરકારના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પણ ભરપૂર સાથ અને સહકાર આપવામાં આવ્યો હતો, જેના કારણે આયોજન વધુ સુવિધાજનક બન્યું હતું.

આ સમગ્ર શ્રવણ યાત્રાને સફળ બનાવવા માટે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી કેતન ભટ્ટના માર્ગદર્શન હેઠળ સુનિલ જોષી,સિમિત રાવલ, જયદિપ રાવલ, મહેશ રાવલ, કિરીટ ઠાકર, રાજેશ ઠાકર,જામ્બાલી રાવલ, દેવેન્દ્ર શુકલ, જીતેશ વ્યાસ, નીરવ મહેતા, કેતન જોષી, કપિલ રાવલ, સંજય ઓઝા, જનક પંચોલી, વિવેક આશા, રાજુ વ્યાસ , શ્રેયસ જોષી, જેડીકાકા સહિતના ભાઈઓ તથા અર્ચના જોષી, મનીષા જોષી, ધરતી વ્યાસ, જયેષ્ઠા જોષી,  હિના ઠાકર, રક્ષા ભટ્ટ, માધવી  વ્યાસ, દિપાલી રાવલ, જાહ્નવી શુકલ,  વિદ્યા મહેતા,વાસંતી ઠાકર, ઉષા જોષી સહિતના મહિલા કાર્યકરો અને સંસ્થાના તમામ હોદ્દેદારો તથા સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application