જામનગર: ધ્રોલના રાજપરાના મૃત બાળકનો ચાંદીપુરાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો
જિલ્લામાં ચાંદીપુરા વાયરસના પોઝીટીવ કેસ વધીને બે થયા
બાળકો માટે જોખમી રોગના કેસ વધતા વાલીઓમાં ચિંતા સાથે ભય
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના રાજપરા ગામના મૃત બાળકનો ચાંદીપુરાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આથી જિલ્લામાં ચાંદીપુરા વાયરસના પોઝીટીવ કેસ વધીને બે થયા છે. બાળકો માટે જોખમી રોગના કેસ વધતા વાલીઓમાં ચિંતા સાથે ભયની લાગણી યથાવત રહી છે.
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના રાજપરા ગામના ૨ વર્ષના બાળક તથા કાલાવડના બે બાળક મળી કુલ ત્રણ બાળકને ભારે તાવ, આંચકી, ઝાડા-ઉલ્ટીના ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો જણાતા સારવાર અર્થે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડાયા હતાં. બાળકોના લોહી સહીતના નમૂના પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલાયા હતાં. પરંતુ ચાંદીપુરાના રિપોર્ટ આવે તે પૂર્વે ધ્રોલના રાજપરા અને કાલાવડના બંને મળી ત્રણેય બાળકના મૃત્યુ નિપજયા હતાં. જો કે, કાલાવડના મૃત્યુ પામેલા બંને બાળકનો ચાંદીપુરાનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. જયારે રાજપરા ગામના બાળકનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.
અત્રે નોેંધનીય છે કે, ધ્રોલ તાલુકાના ડાંગરા ગામના વાડી વિસ્તારમાં રહેતા ૬ વર્ષના બાળકને ભારે તાવ, ઝાડા-ઉલ્ટીના કારણે શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો જણાતા પ્રથમ પડધરી સારવાર અર્થે ખસેડાયો હતો. ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં બાળકનો ચાંદીપુરાનો રિપોર્ટ આવે તે પૂર્વે તેનું મૃત્યુ નિપજયું હતું. મૃત્યુ પામેલા આ બાળકનો ચાંદીપુરાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આથી જામનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસના પોઝીટીવ કેસની સંખ્યા વધીને બે થઇ છે. અત્રે નોંધનીય છે કે, હાલારમાં અત્યાર સુધીમાં ચાંદીપુરાના શંકાસ્પદ અને પોઝીટીવ કેસ નોંધાવાના સમયગાળા દરમ્યાન ૯ બાળકોના મૃત્યુ નિપજયા છે. જેમાં ૭ બાળકોના રિપોર્ટ નેગેટીવ અને બે બાળકોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે.