જામનગર: પ્રેમીએ લગ્ન કરવાની ના પાડતા ધ્રોલની વિદ્યાર્થીનીએ આપઘાત કર્યાનું ખુલ્યું
પોલીસ તપાસમાં સત્ય સામે આવ્યું: નિવેદનો લેવા સહિતની કાર્યવાહી
ધ્રોલના ખારવા રોડ પર આવેલી ગણેશ સ્કૂલમાં નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી યુવતિના ગળેફાંસાથી થયેલા મૃત્યુના બનાવમાં પ્રાથમિક તપાસ દરમિયાન પ્રેમીએ હાલ ભરતીની તૈયારી કરતો હોય જેથી લગ્ન કરવાની ના પાડતા તેણીએ જીવન ટુકાવી લીધાનું બહાર આવ્યું છે, આ મામલે તપાસ લંબાવી નિવેદનો લેવા સહિતની કાર્યવાહી કરવામાં આવી છે.
અરવલ્લી જિલ્લાના ધાનપુર તાલુકાના કાકડખીલા ગામની રહેવાસી પ્રજ્ઞાને તેના વતનના મિલન નામના યુવાન સાથે પ્રેમસંબંધ હતો. વેકેશન દરમિયાન તે પોતાના પ્રેમી સાથે થોડા દિવસ માટે ચાલી ગઈ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
ધ્રોલ ખારવા રોડ પર નર્સિંગ સ્કુલની વિધાર્થીનીએ ગળાફાંસો ખાઇને આપઘાત કરી લેવાના પ્રકરણમાં ધ્રોલ પોલીસની તપાસમાં વિગતો સામે આવી છે, ગણેશ નર્સિંગ હોસ્ટેલ ખાતે રહેતી મુળ કાકડખીલાની વતની પ્રજ્ઞા બાબુભાઇ પરમાર (ઉ.વ.૧૯) નામની યુવતિને દાહોદના વતની મિલન બારીયા સાથે પ્રેમસબંધ હતો દરમ્યાનમાં આ બાબતે સમાજ લેવલે સમાધાન થઇ ગયુ હતુ અને લગ્ન કરવાની વાત થઇ હતી.
પરંતુ મિલન હાલ ભરતીની તૈયારી કરતો હોય જેથી લગ્ન કરવાની હાલ ના પાડી હતી જેથી યુવતિને આ બાબતનું મનદુ:ખ લાગતા પોતાની મેળે ગળાફાંસો ખાઇ લીધો હતો. આ અંગે બાબુભાઇ દ્વારા ધ્રોલ પોલીસમાં ગઇકાલે જાણ કરવામાં આવી હતી જેના આધારે પોલીસ દ્વારા નિવેદનો લેવા સહિતની તપાસ ચલાવવામાં આવી રહી છે.