હાલારમાં દર વર્ષની જેમ આ વર્ષ પણ જન્માષ્ટમી પર્વની શ્રઘ્ધા અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નંદ ઘેર આનંદભયોના નાદ સાથે અનેરા ધાર્મિક અને આઘ્યત્મિક વાતાવરણમાં કૃષ્ણ જન્મોત્સવના વધામણા કરવામાં આવ્યા હતાં. જગતમંદીરની સાથે દ્વારકાને રોશનીના અનેરા શણગાર કરવામાં આવતાં અદભૂત નઝારો જોવા મળ્યો હતો. જગતમંદીરમાં રાત્રીના અબીલ-ગુલાલની છોળો વચ્ચે ભગવાન શ્રીજીના જન્મદીનની ઉજવણી કરવામાં આવી હતી. જન્માષ્ટમીના ભગવાન દ્વારકાધીશના દર્શન કરી લાખો ભાવીકોએ ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે અનેકવિધ સાંસ્કૃતિ અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
દેવભૂમિ દ્વારકામાં આઠમના ભાવિકોનો વણથંભ્યા પ્રવાહથી હોટલ-રેસ્ટોરન્ટો હાઉસફુલ થઇ ગયા હતા તો નાગશ્ર્વેર સહીતના મંદીરો અને શીવરાજપુર બીચ, સુદામા સેતુ સહીતના ફરવાના સ્થળોએ જનમેદની ઉમટી પડી હતી. છોટીકાશી જામનગરમાં પણ શોભાયાત્રા, મટકીફોડ સહીતના ધાર્મિક કાર્યક્રમોની સાથે ભગવાન કૃષ્ણના જન્મોત્સવની ભાવીકોએ હરખભેર ઉજવણી કરી હતી. શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં મનપા દ્વારા આયોજીત શ્રાવણી મેળામાં લાખોની જનમેદની ઉમટી પડતા હૈયે હૈયુ દળાયું હતું. મંદી અને મોંધવારી ભૂલી લોકોએ તહેવારોની ઉજવણીની સાથે શ્રાવણી મેળાની મન ભરીને મોજ માણી હતી.રાત્રીના રોશનીથી ઝળહળતી રાઇડસ સાથેના મેળાનો આકર્ષક અને નયનરમ્ય નઝારો જોવા મળ્યો હતો.