↵જામનગર શહેરમાં વેપારી યુવાનની રહસ્યમય સંજોગોમાં મોતની છલાંગ
કારણ અકબંધ : બિલ્ડીંગમાંથી રાત્રીના પટકાતા બનેલો બનાવ : પોલીસ દ્વારા તપાસ
જામનગરના જકાતનાકાથી સાંઢીયાપુલ તરફના રોડ પર ડીવાઇન કોર્નર નામની બિલ્ડીંગના સાતમા માળેથી નીચે પટકાતા વેપારી યુવાનનું કરૂણ મૃત્યુ નિપજતા શોકની લાગણી ફેલાઇ ગઇ છે, પોલીસ દ્વારા આપઘાતનું પ્રાથમિક અનુમાન લગાવીને તપાસને આગળ ધપાવવામાં આવી છે.
જામનગરના ડીવાઇન કોર્નર નામની બિલ્ડીંગ ખાતે રહેતા આઇસ્ક્રીમ પાર્લરવાળા વેપારી જયેશ માલદેભાઇ બેડીયાવદરા (ઉ.વ.૨૧) નામના યુવાન ગત રાત્રીના ૧-૩૦ વાગ્યા પછીના સુમારે કોઇપણ કારણસર બિલ્ડીંગમાથી નીચે પડી જતા માથામાં ગંભીર ઇજા થવાથી તેમનૃં મૃત્યુ નિપજયુ હતું.
આ અંગે માધવબાગ-૬ ખાતે રહેતા વેપાર કરતા વિશાલ માલદેભાઇ બેડીયાવદરાએ સીટી-સી પોલીસમાં આજરોજ જાણ કરી હતી જેના આધારે પીએસઆઇ ઝાલા તપાસ ચલાવી રહયા છે. રહસ્યમય સંજોગોમાં વેપારી યુવાનના મૃત્યુથી શોકની લાગણી ફેલાઇ ગઇ છે, બનાવ પાછળનું કારણ અકબંધ છે, બીજી બાજુ પોલીસ દ્વારા આપઘાતનું અનુમાન લગાવીને તપાસને લંબાવવામાં આવી છે.