ખંભાળિયા: ભરાણા ગામે ૧૫૦૦ વર્ષ જુનું ધીંગેશ્વર મહાદેવ મંદિર
ખંભાળિયા: ભરાણા ગામે ૧૫૦૦ વર્ષ જુનું ધીંગેશ્વર મહાદેવ મંદિર
September 16, 2026 12:13 PM
ખંભાળિયા: ભરાણા ગામે ૧૫૦૦ વર્ષ જુનું ધીંગેશ્વર મહાદેવ મંદિર
ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે ૧૫૦૦ થી ૨૦૦૦ વર્ષ જુનું ધીંગેશ્વર મહાદેવનું પૌરાણિક શિવ મંદિર આવેલું છે. આજથી ઘણા વર્ષો પહેલાં આ નાની દેરીને આજુ-બાજુ ગામલોકોએ અને શિવ ભક્તોએ યથાશક્તિ ફાળો આપી આ મંદિરને વિશાળ બનાવ્યું છે.ભરાણા રોડ પર આવેલું આ મંદિરનો ઇતિહાસ પણ ખૂબ જ રસપ્રદ છે. આ લીંગની સ્થાપના રાજા વીર વિક્રમના સમયમાં થયેલ છે. આ પૌરાણિક મહાદેવની લીંગની ઊંચાઈ તથા પહોળાઈ સોમનાથ મહાદેવના લીંગની સમકક્ષ છે. દાયકાઓ પહેલાં આ સ્થળ કંકાવટી- ત્રંબાવટી નગર તરીકે ઓળખાતું. ઇન્દ્રરાજાએ ઇન્દ્રપુત્ર અને ત્રણ અપ્સરાઓને આ મહાદેવની સેવામાં મોકલ્યા હતા. પરંતુ ઇન્દ્રપુત્રએ સેવા કરવાને બદલે અપ્સરાઓ સાથે રંગરાગ ખેલવાનું શરૂ કરી દીધું.
ઇન્દ્રરાજાને પોતાના પુત્રના આવા વ્યભીત કાર્યની ખબર પડતા, પોતાના પુત્રને શ્રાપ આપીને ગધેડો બનાવી દીધો. અને અપ્સરાઓને માનવ સ્ત્રીઓ બનાવી આ નગરીમાં જ જન્મ આપ્યો. શ્રાપિત ઇન્દ્રપુત્રએ મહાદેવ પાસે આવી ક્ષમા માંગતા, મહાદેવે તેની વ્યથામાં ઘટાડો કરીને તે દિવસે ગધેડો અને રાત્રે મનુષ્ય રહે તેવું વરદાન આપ્યું. તેથી આ ઇન્દ્રપુત્રએ ત્રંબાવટી નગરીની સ્થાપના કરી. આમ આ લીંગ આશરે ૧૫૦૦ થી ૨૦૦૦ વર્ષ પુરાણી હોવાનો અંદાજ છે. આજથી થોડા વર્ષો પહેલાં આ નાની દેરીને વિશાળ મંદિરમાં ફેરવવાનો સ્વ.લાલજીભાઇ જોશી નામના નિવૃત્ત શિક્ષકે કર્યો હતો. જેના માટે લોકફાળાની શરૂઆત તેમણે પોતે પોતાની નિવૃત્તિની રકમ રૂા. બે લાખ આપીને કરી. આજુ-બાજુના ગામ લોકોએ પણ યથાશક્તિ ફાળો આપ્યો. આખરે તમામની મહેનત અને શ્રદ્ધા રંગ લાવી અને ૧૪ જાન્યુઆરી-૨૦૦૯ ના રોજ ધીંગેશ્વર મહાદેવનું વિશાળ મંદિર તૈયાર થયું. અને છેલ્લા પંદર વર્ષથી વાડીનાર ગામના સી.આર. જાડેજા (રાજપુત સમાજ આગેવાન) દ્વારા ધ્વજા ચઢાવવામાં આવે છે. શ્રાવણ માસ દરમિયાન સવાલાખ બિલિપત્ર ચઢાવે છે અને પૂજા અર્ચના કરવામાં આવે છે. કુદરતી લીલી છમ વનરાઈ વચ્ચે બિરાજમાન આ ધીંગેશ્વર મહાદેવના એકવાર અચૂક દર્શન કરવા જેવા છે. ત્યાં હજારો ભક્તો પૂજા કરવા આવે છે.