જામનગર: પીજીવીસીએલ દ્વારા અપાયેલ વીજ ચોરીનું પુરવણી બીલ રદ કરવાનો આદેશ ફરમાવતી કોર્ટ
જામનગરમા ખંભાળીયા નાકા બહાર વિસ્તારમાં આવેલ ગુલાબબાગ એપાર્ટમેન્ટમાં આવેલ તમામ ફલેટસના વીજ જોડાણનુ મીટર ગ્રાઉન્ડમા ઇન્સ્ટોલ કરવામા આવેલ હતુ અને પશ્ચિમ ગુજરાત વીજ કંપની લી. ખંભાળીયા ગેઇટ સબડીવીઝન કચેરીના અધિકારીઓ દ્વારા વીજચેકિંગનની કામગીરી દરમ્યાન શિલ્પાબેન કિશોરભાઈ નકુમ દ્વારા મીટર રાખવાની લોખંડની પેટીના સીલ તથા ટર્મીનલ બ્લોકના સીલ સાથે ચેડા કરી ટી.બી.ના મેઈન સાઈડના ફેઝ અને ન્યુટ્રલમા લાલ તથા કાળા રંગની વધારાનો વાયર લુપથી જોડીને મીટરને બાયપાસ કરી વીજચોરી કરતા હોવાનુ ધ્યાને આવતા, વીજચોરીનુ પુરવણીબીલ રૂ. ૧,૦૧,૦૮૪.૮૦ નુ બનાવેલ તેમજ શિલ્પાબેન કિશોરભાઈ નકુમના પતિ કિશોરભાઈ કેશવજીભાઈ નકુમ વિરૂધ્ધ વીજચોરીની પોલીસ ફરીયાદ પણ નોંધાવેલી હતી.
જેથી શિલ્પાબેન કિશોરભાઈ નકુમ દ્વારા પુરવણીબીલ રદ કરાવવા દાવો કરેલ હતો અને દાવા દરમ્યાન પુરવણીબીલ પેટે ભરેલ રૂ. ૫૫,૦૦૦/- વ્યાજસહિત પરત મેળવવા દાવો દાખલ કરેલો હતો,જે દાવા દરમ્યાન પશ્ચિમ ગુજરાત વીજ કંપની લી. દ્વારા કિશોરભાઈ કેશવજીભાઈ નકુમ વિરૂધ્ધ દાખલ કરેલ વીજચોરીની ફોજદારી ફરીયાદના કેસમા કિશોરભાઈ કેશવજીભાઈ નકુમનો નિર્દોષ છુટકારો ફરમાવેલ હતો અને શિલ્પાબેન કિશોરભાઈ નકુમ દ્વારા કરવામાં આવેલ દાવાના કામે પ્રતિવાદી વીજ કંપની તરફે તકરાર લેવામાં આવેલ હતી જેથી જામનગરના એડીશ્નલ સિનિયર સિવિલ જજ દ્વારા વીજચોરીનુ પુરવણીબીલ રૂ. ૧,૦૧,૦૮૪.૮૦ નુ રદ કરવાનો તેમજ રૂ. ૫૫,૦૦૦/- વીજકંપનીએ શિલ્પાબેન કિશોરભાઈ નકુમને પરત ચુકવવાનો તેમજ શિલ્પાબેન કિશોરભાઈ નકુમને થયેલ દાવાનો ખર્ચ પણ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લી., ખંભાળીયા ગેઈટ સબડીવીઝન કચેરીએ ભોગવવાનો આદેશ ફરમાવવા આવેલ છે. આ દાવામા વાદી તરફે વકીલ સ્વ. કિશોર એચ. નથવાણી ઓફિસના ચિરાગ કે. નથવાણી તેમજ ધર્મેશ સી. રાઠોડ રોકાયેલ હતા.