રાજ્યમાં ખેડૂતોના પ્રશ્નો અને અછતની સ્થિતિને લઈને આમ આદમી પાર્ટીએ સરકાર સામે મોરચો મજબૂત કર્યો છે. દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ અંતર્ગત ખેડૂત નેતા ઈસુદાન ગઢવીએ આંદોલનના બીજા તબક્કા તરીકે ’પ્લાન બી’ની સત્તાવાર જાહેરાત કરી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે હવે આ લડત માત્ર શહેરો કે કાર્યાલયો પૂરતી સીમિત નહીં રહે, પરંતુ ગુજરાતના ૧૦૮ અછતગ્રસ્ત તાલુકાઓના છેવાડાના ગામડાઓ સુધી પહોંચશે. ખેડૂતોના ખાતામાં યોગ્ય રાહતની રકમ જમા નહીં થાય ત્યાં સુધી આ આંદોલન અવિરત ચાલુ રહેશે.
આ રણનીતિ મુજબ આમ આદમી પાર્ટીના તમામ નાના-મોટા આગેવાનો ગામેગામ જઈને ખેડૂતોનો સંપર્ક કરશે. ઈસુદાન ગઢવી પોતે લગભગ તમામ જિલ્લાઓની જાતે મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરશે. જમીની સ્તર પર કામગીરી સુનિશ્ચિત કરવા માટે પક્ષ દ્વારા ૧૦૮ વિશેષ ટીમોની રચના કરવામાં આવી છે. આ વ્યવસ્થા હેઠળ દરેક તાલુકામાં ૧૦૦ લોકોની સક્રિય ટીમ કાર્યરત રહેશે, જ્યારે દરેક ગામમાં પણ અલગ-અલગ લોકલ ટીમો બનાવવામાં આવશે, જેથી કોઈ પણ વિસ્તાર છૂટી ન જાય.
આ ટીમો પ્રત્યેક ગામમાં ખેડૂતોના ઘર અને ખેતર સુધી પહોંચીને તેમની પાસેથી દુષ્કાળગ્રસ્ત સહાય મેળવવા માટેની અરજીઓ ભરાવશે. જે ખેડૂતો આ ફોર્મ ભરશે તેમને સરકાર તરફથી યોગ્ય વળતર અને રાહત મળે તેની સંપૂર્ણ જવાબદારી પાર્ટી નિભાવશે. ખેડૂતો દ્વારા કરવામાં આવેલી આવી લાખો સહીઓ અને અરજીઓનું વિશાળ પોટલું એકત્રિત કરવામાં આવશે, જેને સરકાર સમક્ષ રજૂ કરીને સહાયની માંગણી બુલંદ કરવામાં આવશે.
આ આંદોલન આગામી ૨ ઓક્ટોબર, ગાંધી જયંતીના દિવસે એક નિર્ણાયક વળાંક લેશે. તે દિવસે ચાલો ગાંધીનગરના નારા સાથે રાજ્યભરમાંથી ખેડૂતો અને કાર્યકરો પાટનગરમાં એકઠા થશે અને ગાંધીનગરમાં એક વિશાળ સત્યાગ્રહનું આયોજન કરવામાં આવશે. ઈસુદાન ગઢવીએ રાજ્ય સરકારને કડક ચેતવણી આપતા ઉમેર્યું છે કે જો ’પ્લાન બી’ ના અમલ બાદ પણ સરકાર ખેડૂતોની ન્યાયી માંગણીઓ સામે આંખ આડા કાન કરશે અને સહાય જાહેર નહીં કરે, તો પક્ષ જરાય પીછેહઠ કર્યા વિના આનાથી પણ વધુ આક્રમક ’પ્લાન બી’ તરફ આગળ વધશે.