BREAKING NEWS

શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાની અધ્યક્ષતામાં બાલાચડી ખાતે જામનગર જિલ્લા કક્ષાના ૭૭ માં વન મહોત્સવની ઉજવણી સંપન્ન

  • August 31, 2026 10:22 AM 

શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાની અધ્યક્ષતામાં બાલાચડી ખાતે જામનગર જિલ્લા કક્ષાના ૭૭ માં વન મહોત્સવની ઉજવણી સંપન્ન

પ્રકૃતિ સાથેના આપણા સંબંધને વધુ મજબૂત કરવાનો અને આવનારી પેઢીને સ્વસ્થ જીવન આપવાનો સંકલ્પ એટલે વન મહોત્સવ: મંત્રી

જામનગર તા.૩૦ ઓગસ્ટ, શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં જામનગર જિલ્લા કક્ષાના ૭૭ માં વન મહોત્સવની ઉજવણી બાલાચડી સૈનિક સ્કૂલ ખાતે કરવામાં આવી હતી. 

કાર્યક્રમ દરમિયાન મંત્રીએ જણાવ્યુ હતું કે,વન મહોત્સવ માત્ર વૃક્ષારોપણનો કાર્યક્રમ નથી. વન મહોત્સવ એટલે પ્રકૃતિ સાથેના આપણા સંબંધને વધુ મજબૂત કરવાનો અને આવનારી પેઢીને હરિયાળું, સ્વચ્છ અને સ્વસ્થ ભવિષ્ય આપવાનો સંકલ્પ.

જામનગર એક ઐતિહાસિક અને સમૃદ્ધ સાંસ્કૃતિક શહેર હોવાની સાથે પ્રકૃતિ અને પર્યાવરણની દૃષ્ટિએ પણ વિશેષ મહત્વ ધરાવે છે. જિલ્લાની આસપાસનો દરિયાઈ વિસ્તાર, વિવિધ પ્રકારની વનસ્પતિ અને અસંખ્ય પક્ષીઓ આપણને કુદરતે આપેલી અમૂલ્ય ભેટ છે. આ કુદરતી વારસાનું જતન કરવું એ માત્ર સરકારની નહીં, પરંતુ આપણા સૌની સામૂહિક જવાબદારી છે.

સરકાર દ્વારા પ્રકૃતિ, સંસ્કૃતિ અને પર્યાવરણને સાથે જોડીને સાંસ્કૃતિક વનો વિકસાવવાની પરંપરા શરૂ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન શરૂ થયેલી આ પહેલ આજે પણ આગળ વધી રહી છે.

નમો વડ વન, મિયાવાકી પદ્ધતિ આધારિત વન કવચ જેવી પહેલો ગુજરાતને વધુ હરિયાળું બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલાં છે. હવે આ જ પદ્ધતિના આધારે સમગ્ર રાજ્યમાં “મેગા વન કવચ”નું નિર્માણ કરવાની દિશામાં પણ કામગીરી થઈ રહી છે.

આજે વાવેલું એક નાનું વૃક્ષ આવનારા વર્ષોમાં અનેક લોકોને છાંયડો, પ્રાણવાયુ અને જીવન આપશે. વૃક્ષનું વાવેતર એ માત્ર આજનું કામ નથી તે આવતી પેઢી માટેનું આપણું રોકાણ છે. આ કુદરતી સંપત્તિનું સંરક્ષણ કરવું એ આપણી પેઢીની જવાબદારી છે.વન મહોત્સવની ઉજવણી માત્ર એક દિવસ પૂરતી મર્યાદિત ન રહે, પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન વૃક્ષારોપણ, વૃક્ષ ઉછેર અને પર્યાવરણ સંરક્ષણની પ્રવૃત્તિઓ સતત ચાલતી રહે તે જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે જામનગર જિલ્લામાં ૧૦ ખાતાકીય નર્સરી અને ૬૩ વિકેન્દ્રિત પ્રજા નર્સરીમાં કુલ ૩૨.૨૦ લાખ ઔષધીય, સ્થાનિક, લુપ્ત થતી પ્રજાતિ તેમજ ફળાઉ અને ફૂલછોડના રોપાઓ વિતરણ તથા વાવેતર માટે ઉછેરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૨૬-૨૭માં જામનગર જિલ્લામાં ૨૫.૫૦ હેક્ટર વિસ્તારમાં ૨.૫૫ લાખ રોપાઓનું વાવેતર કરીને “વન કવચ”નું નિર્માણ કરવામાં આવ્યું છે. 

કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી તેમજ મહાનુભાવોના હસ્તે વિશેષ કામગીરી કરેલ વન વિભાગના કર્મચારીઓને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા શાળાના પટ્ટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. 

કાર્યક્રમમાં મુખ્ય વન સંરક્ષક એસ.મનીશ્વર રાજા, નાયબ વન સંરક્ષક રાધિકા પરસાણા, બાલાચડી સૈનિક સ્કૂલના પ્રિન્સિપલ ઉજ્વલ ગુરમૂડે, અગ્રણી ડો.વિનોદભાઈ ભંડેરી, ભરતભાઈ, વિંગ કમાન્ડર કે.મારૂથી દેવી(રિટાયર્ડ), કૌશલ્યા રાજા, રેન્જ ફોરેસ્ટ ઓફિસરો, ધ્રોલ પ્રાંત અધિકારી ગૌતમ લોડલીયા, સરપંચ જયેન્દ્રસિંહ, અગ્રણીઓ, અધિકારીઓ, આગેવાનો, વિદ્યાર્થીઓ, ગ્રામજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application