તબીબી અધિક્ષક દ્વારા તમામ વિભાગના વડા સાથેની બેઠકમાં તકેદારીના પગલાંની ચર્ચા
માસ્ક અને જરૂરી દવાનો જથ્થો મંગાવાયો, આઇસોલેશન વોર્ડ તૈયાર કરવાની કવાયત
દીલ્હી અને મુંબઇમાંં સ્વાઇન ફલુના કેસના પગલે રાજયની સાથે જામનગર જી.જી.હોસ્પિટલનું તંત્ર એલર્ટ બન્યું છે. ઇન્ચાર્જ તબીબી અધિક્ષક દ્વારા હોસ્પિટલના તમામ વિભાગના વડા સાથે યોજાયેલી બેઠકમાં એચવનએનવન રોગ અટકાવવા તકેદારીના શું પગલાં લેવા તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આટલું જ નહીં હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવાની કવાયતની સાથે માસ્ક અને જરૂરી દવાનો જથ્થો પણ મંગાવામાં આવ્યો છે. તાજેતરમાં દીલ્હી અને મુંબઇમાં એચવનએનવન એટલે કે સ્વાઇન ફલુના કેસમાં વધારો થયો છે. આ શહેરોમાં ગુજરાતમાંથી પણ લોકોની રોજની અવરજવર રહેતી હોય રાજયનું આરોગ્ય તંત્ર પણ સર્તક બન્યું છે. રાજયના આરોગ્ય મંત્રી દ્વારા આ બાબતે સરકારી હોસ્પિટલ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી રોગચાળાને અટકાવવાના પગલાં લેવા અંગે ચર્ચા-વિચારણા કરી સૂચનાઓ આ૫વામાં આવી હતી.
સંભવિત સ્વાઇન ફલુના પગલે જામનગર જી.જી.હોસ્પિટલનું તંત્ર પણ એલર્ટ બન્યું છે. જી.જી.હોસ્પિટલના ઇન્ચાર્જ તબીબી અધિક્ષક ડો.વિજય પોપટ દ્વારા હોસ્પિટલના મેડીસીન, પીડીયાટ્રીક સહીત તમામ વિભાગના વડાની બેઠક બોલાવામાં આવી હતી. આ મીટીંગમાં સ્વાઇન ફલુને અટકાવવા માટે તકેદારીના શું પગલાં લેવા તે અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આટલું જ નહીં જી.જી.હોસ્પિટલમાં આવેલો આઇસોલેશન વોર્ડમાં બેડ સહીતની સુવિધાઓ ઉભી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તદઉપરાંત માસ્ક અને જરૂરી દવાનો જથ્થો પણ મંગાવામાં આવ્યો હોવાનું ઇન્ચાર્જ તબીબી અધિક્ષકે જણાવ્યું હતું.