જામનગરના નવરાત્રી સંચાલક સંજય ચેતરીયાના રિમાન્ડ પૂર્ણ થતાં જેલ હવાલે
સીટી-એ ડીવીઝન પોલીસ દ્વારા ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવશે: જુદી-જુદી પાંચ ફરિયાદ નોંધાતા ભારે ચર્ચા
જામનગરમાં નવરાત્રીના સંચાલક સામે જુદી જુદી પાંચ પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી હતી જે પૈકી પંચકોશી-બી દ્વારા ધરપકડ કરી આરોપીને પાંચ દિવસના રીમાન્ડ પર લીધો હતો જે કાર્યવાહી પુર્ણ થતા જેલમાં મોકલી આપ્યો હતો અન્ય ફરીયાદમાં સીટી-એ ડીવીઝન પોલીસ કબ્જો મેળવવા કાર્યવાહી હાથ ધરી છે.
જામનગર શહેરમાં નવરાત્રીનું આયોજન કરતા સંચાલક સંજય ચેતરિયા સામે છેલ્લા દસ દિવસ દરમિયાન અલગ-અલગ પોલીસ મથકોમાં ધાક-ધમકી, પૈસા પડાવી લેવા, નવરાત્રીના આયોજનના નાણાંનું ચુકવણું ન કરવું, પોતાની યુટ્યુબ ચેનલ મારફતે બદનામ કરવાની ધમકી આપવા સહિતના ગુનાઓ નોંધાયા હતા. આ પૈકી પંચકોશી-બી ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલા ગુનામાં તેની ધરપકડ કરીને પાંચ દિવસના પોલીસ રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા.
પાંચ દિવસના રિમાન્ડ દરમિયાન પંચકોશી-બી ડિવિઝનના પીઆઈ વી.જે. રાઠોડ અને તેમની ટીમે વિવિધ મુદ્દાઓ અંગે આરોપીની પૂછપરછ હાથ ધરી હતી. રિમાન્ડની મુદત પૂર્ણ થતાં સંજય ચેતરિયાને જામનગરની અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો. અદાલતી કાર્યવાહી બાદ તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી જામનગર જિલ્લા જેલ હવાલે કરવામાં આવ્યો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સંજય ચેતરિયા સામે શહેરના અલગ-અલગ પોલીસ મથકોમાં નોંધાયેલા અન્ય ગુનાઓની તપાસ પણ ચાલુ છે. આગામી દિવસોમાં સંબંધિત પોલીસ મથકોની ટીમો ટ્રાન્સફર વોરંટના આધારે જામનગર જેલમાંથી તેનો કબજો મેળવી વધુ પૂછપરછ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરે તેવી શક્યતા છે.