હર ઘર તિરંગા… હર દિલ તિરંગા: રાષ્ટ્રપ્રેમના રંગે રંગાયું જામજોધપુર : ભવ્ય તિરંગા યાત્રાએ સર્જ્યો દેશભક્તિનો અનોખો માહોલ
જામનગર તા.૧૩ ઓગસ્ટ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશભરમાં તા.૯ થી તા.૧૭ ઓગસ્ટ દરમિયાન તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે કલેક્ટર પી.બી.પંડયાના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં તથા જામનગર મહાનગરપાલિકા અને જિલ્લા કક્ષાએ કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા છે. ત્યારે જામજોધપુર તાલુકામાં ભવ્ય ‘તિરંગા યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું.
જામજોધપુર શહેરની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ તિરંગો લહેરાવી, દેશભક્તિના નારા લગાવતા સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું. તિરંગા યાત્રા દરમિયાન મહાનુભાવોની પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યા હતા.
તિરંગા યાત્રા નાના બસ સ્ટેન્ડથી શરૂ થઈ ગાંધીચોક, આઝાદ ચોક, લીમડા ચોક, હર્ષદ માતાજી મંદિર, બહુચરાજી મંદિર, પટેલ સમાજ રોડ, રેલવેસ્ટેશન રોડથી મામલતદાર કચેરીએ પૂર્ણ થઈ હતી.
તિરંગા યાત્રા માત્ર એક કાર્યક્રમ નહીં, પરંતુ રાષ્ટ્રપ્રેમ, એકતા અને દેશના ગૌરવની અભિવ્યક્તિ છે. રાષ્ટ્રીય ધ્વજ તિરંગો આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન, સંઘર્ષ અને દેશની અખંડિતતાનું પ્રતિક છે. તિરંગા યાત્રા દ્વારા નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ મજબૂત બને છે તેમજ યુવા પેઢીને દેશના ગૌરવશાળી ઇતિહાસ અને રાષ્ટ્રીય મૂલ્યો સાથે જોડાવાની પ્રેરણા મળે છે. “હર ઘર તિરંગા” અભિયાનના માધ્યમથી દેશના દરેક નાગરિકને તિરંગા સાથે જોડવાનો અને રાષ્ટ્રગૌરવની ભાવનાને જનજન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
તિરંગા યાત્રામાં પૂર્વ કેબિનેટ મંત્રી ચીમનભાઈ સાપરીયા, ચિરાગભાઈ કાલરીયા, અધિકારીઓ, જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયત સદસ્યો, વિધાર્થીઓ, શિક્ષકો, હોમગાર્ડના જવાનો, નાગરિકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.