જામનગર-રાજકોટ હાઇવે કારે બાઇકને ઠોકર મારતા યુવાનનું મૃત્યુ
ઓવરબ્રીજ ઉતરતા ડેરી પાસે અકસ્માત સર્જાયો : કારચાલક સામે ફરીયાદ : પરિવારમાં શોકની લાગણી
જામનગરના ગુલાબનગર ઓવરબ્રીજ ઉતરતા ડેરી પાસે બે દિવસ પહેલા બપોરના સુમારે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક યુવાનનું ગંભીર ઇજા સબબ સારવારમાં લઇ જતા મૃત્યુ નિપજયુ છે. આ બનાવ અંગે કારચાલક સામે ફરીયાદ નોંધાવવામાં આવી છે.
જામનગરના અન્નપુર્ણા મંદિરની પાસે મચ્છાનગર રૂમ નં. ૧૧૦ ખાતે રહેતા શૈલેષ નરશીભાઇ ડાંગર (ઉ.વ.૫૧)એ ગઇકાલે પંચકોશી-બીમાં ફોરવ્હીલ કાર નં. જીજે૧૦ડીજે-૩૯૩૯ના ચાલક સામે ફરીયાદ નોંધાવી હતી.
આરોપીએ ગત તા. ૨૨ના રોજ બપોરના ૩ વાગ્યાના સુમારે કારચાલકે જામનગર-રાજકોટ હાઇવે ઓવરબ્રીજ ઉતરતા ડેરી પાસે પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી સામેથી આવતા મોટરસાકયલ નં. જીજે૧૦એએફ-૫૨૯૦ ચલાવીને આવતા ફરીયાદીના ભાઇ જયેશભાઇ (ઉ.વ.૪૮)ની સાથે અથડાવી રોડ પર પછાડી દીધા હતા.
આ અકસ્માતમાં જયેશભાઇને શરીરે ગંભીર ઇજાઓ થતા એમ્બ્યુલન્સ મારફત ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે લઇ જવામાં આવેલ જયાં ફરજ પરના તબીબે તપાસીને મરણગયાનું જણાવ્યુ હતું. ફરીયાદ અનુસંધાને પંચકોશી દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.