દેવભૂમિ દ્વારકા: દ્વારકાધીશ રાજાધિરાજના 5253 માં જન્મોત્સવ માટે તડામાર તૈયારીઓ
યાત્રાધામ દ્વારકામાં ભાવિકોમાં ઉત્સાહનો માહોલ, જગતમંદિર કલાત્મક રોશનીથી ઝળહળ્યું
દ્વારકા: યાત્રાધામ દ્વારકામાં આગામી તા. 04 સપ્ટેમ્બર, શુક્રવારના રોજ ભગવાન શ્રીકૃષ્ણના પરપ૩માં જન્મોત્સવની ભવ્ય ઉજવણીને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તંત્ર દ્વારા જન્માષ્ટમી પર્વની વ્યવસ્થાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, ત્યારે બીજી તરફ ઠાકોરજીના જન્મોત્સવના દર્શન અને ઉજવણી માટે ભાવિકોમાં પણ અનેરો ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે.
જન્માષ્ટમી પર્વને અનુલક્ષીને દ્વારકાધીશ જગતમંદિરને આકર્ષક અને કલાત્મક લાઈટીંગથી સુશોભિત કરવામાં આવ્યું છે. રોશનીથી ઝળહળતા જગતમંદિરની ભવ્યતા દૂર સુધી નજરે પડે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રિલાયન્સના સહયોગથી મુંબઈના જેમિની ગ્રુપ દ્વારા જગતમંદિરને કલાત્મક રોશનીથી સજાવવામાં આવ્યું છે.
જન્માષ્ટમીના દિવસે શ્રીજીના દર્શન સમયમાં ફેરફાર:
દ્વારકાધીશ જગતમંદિર ખાતે જન્માષ્ટમીની પરંપરાગત ઉજવણીને અનુલક્ષીને શ્રીજીના દર્શન અને સેવા પૂજાના સમયમાં જરૂરી ફેરફાર કરવામાં આવ્યો છે. મંદિર વહીવટીતંત્ર દ્વારા વૈષ્ણવ ભાવિકોને જાહેર કરવામાં આવેલી
સમયસારણી મુજબ દર્શનનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
શુક્રવાર, તા. 04 સપ્ટેમ્બર : શ્રીકૃષ્ણ જન્માષ્ટમી
જન્માષ્ટમીના દિવસે શ્રીજીની મંગલા આરતી સવારે 6:00 કલાકે યોજાશે. ત્યારબાદ સવારે 8:00 કલાકથી ખુલ્લા પડદે સ્નાન તથા અભિષેક પૂજનના દર્શન થશે.
શ્રીજીને સ્નાન ભોગ સવારે 10:00 કલાકે, શૃંગાર ભોગ સવારે 10:45 કલાકે, શૃંગાર આરતી સવારે 11:00 કલાકે, ગ્વાલ ભોગ સવારે 11:20 કલાકે તથા રાજભોગ બપોરે 12:00 કલાકે ધરાવવામાં આવશે.ત્યારબાદ બપોરે 1:00 કલાકથી સાંજે 5:00 કલાક સુધી અનોસર દરમિયાન દર્શન બંધ રહેશે.
સાંજના સેવા ક્રમમાં ઉત્થાપન દર્શન સાંજે 5:00 કલાકે, ઉત્થાપન ભોગ સાંજે 5:45 કલાકે, સંધ્યા ભોગ સાંજે 7:30 કલાકે, સંધ્યા આરતી સાંજે 7:45 કલાકે, શયન ભોગ રાત્રે 8:00 કલાકે તથા શયન આરતી રાત્રે 8:30 કલાકે યોજાશે.
રાત્રે 9:00 કલાકે શયન અનોસર થતાં દર્શન બંધ રહેશે. રાત્રે 9:00 કલાકથી મધ્યરાત્રિ 12:00 કલાક સુધી ભાવિકો માટે દર્શન બંધ રહેશે.
મધ્યરાત્રિએ જન્મોત્સવ આરતી, 2:30 સુધી ખુલ્લા રહેશે દર્શન:
ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે રાત્રે 12:00 કલાકે શ્રીજીની જન્મોત્સવ આરતી યોજાશે. આરતી બાદ ભાવિકોને રાત્રે 2:30 કલાક સુધી જન્મોત્સવના દર્શનનો લાભ મળશે. ત્યારબાદ રાત્રે 2:30 કલાકે શ્રીજી શયન થતાં દર્શન બંધ થશે.
શનિવાર, તા. 05 સપ્ટેમ્બર : પારણા નૌમની ઉજવણી:
જન્માષ્ટમીના બીજા દિવસે શનિવારે પારણા નૌમ નિમિત્તે શ્રીજીના પારણા ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. આ દિવસે શૃંગાર આરતી સવારે 7:00 કલાકે, મધ્યાન ભોગ સવારે 9:00 કલાકે અને રાજભોગ સવારે 10:00 કલાકે ધરાવવામાં આવશે. ત્યારબાદ સવારે 10:30 કલાકે અનોસર થતાં સાંજે 5:00 કલાક સુધી દર્શન બંધ રહેશે. સાંજે 5:00 કલાકે ઉત્થાપન દર્શન થશે. ઉપરાંત સાંજે 6:00 કલાકથી 7:00 કલાક દરમિયાન બંધ પડદે અભિષેક કરવામાં આવશે. ત્યારબાદ સાંજનો અન્ય સેવા-પૂજાનો ક્રમ રાબેતા મુજબ ચાલુ રહેશે.
જન્માષ્ટમી પર્વની ઉજવણીને લઈને દ્વારકા શહેરમાં ધાર્મિક માહોલ સર્જાયો છે અને દેશ-વિદેશમાંથી આવતા ભાવિકોમાં ઠાકોરજીના જન્મોત્સવના દર્શનને લઈને વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application