હાલારી નવા વર્ષની જાહેર શુભેચ્છા: જામસાહેબે પ્રજાને આપ્યા આશીર્વાદ, ઘરે મીઠું મોઢું કરવા નિમંત્રણ
જામનગર: અષાઢી બીજ એટલે હાલારી નવા વર્ષના પાવન અવસરે મહારાજા જામસાહેબ દિગ્વિજયસિંહજી ઓફ નવાનગરે સમગ્ર પ્રજાજનોને હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવી છે. જામસાહેબે પોતાના સંદેશમાં જણાવ્યું છે કે "અષાઢી બીજ એટલે આપણા હાલારી નવા વર્ષ માટે હું મારી પ્રજાને ખૂબ શુભેચ્છા આપું છું."
નાદુરસ્ત તબિયતના કારણે આ વર્ષે તેઓ કોઈને રૂબરૂ મળી શકશે નહીં. પરંતુ સાથે જ તેમણે પ્રજાજનોને ખાસ વિનંતી કરી છે કે "મારા ઘરના આંગણે આપની ઈચ્છા અને અનુકૂળતા મુજબ મીઠું મોઢું કરવા પધારજો. જેનાથી મને બહુ જ આનંદ થશે કે હું અને મારી પ્રજા હજી એક જ દુનિયામાં નભી રહ્યા છીએ."
જામસાહેબે માતાજીને પ્રાર્થના કરી છે કે "આપ સહુને સુખ-શાંતિના આશીર્વાદ આપે અને મને આપ બધાની સેવાનો મોકો અને તાકાત આપે."
હાલારી નવા વર્ષે જામસાહેબના આ શુભેચ્છા સંદેશથી સમગ્ર જામનગરની પ્રજામાં હર્ષની લાગણી જોવા મળી રહી છે.