જામનગર: ગોકુલનગરમાં યુવાનની હત્યામાં આરોપીઓ જેલ હવાલે
છરી કબ્જે : ઘટનાનું રીક્નસ્ટ્રકશન કરાવતી પોલીસ
જામનગરના ગોકુલનગર વિસ્તારમાં અપશબ્દોની શંકા સેવીને યુવાનની હત્યા નિપજાવવાના બનાવમાં આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી દરમ્યાન રીક્નસ્ટ્રકશન કરી હુમલામાં વપરાયેલ છરી કબ્જે લઇ તમામ આરોપીઓને કોર્ટમાં રજુ કરીને જેલ હવાલે કરાયા છે.
ગોકુલનગર શેરી નં. ૧૧માં રહેતા બાબુ ઉર્ફે રણજીતસિંહ જસાજી જેઠવા (ઉ.વ.૩૦) નામના યુવાને સીટી-સી ડીવીઝનમાં બનાવ સબંધે સોનુબા ગુમાનસિંહ જાડેજા, ગુમાનસિંહ જાડેજા, પ્રદિપસિંહ ગુમાનસિંહ જાડેજા, જયલો રાઠોડ, દિવ્યરાજસિંહ વાઘેલા, જોશનાબા તથા જોશનાબાનો ઘરવાળો આ સાતની વિરુઘ્ધ બીએનએસ કલમ ૧૦૩(૧), ૧૮૯(૨), ૧૯૧, ૧૯૧(૨), ૧૯૧(૩), ૧૯૦ તથા જીપીએકટ ૧૩૫(૧) મુજબ ફરીયાદ નોંધાવી હતી.
ફરીયાદમાં જણાવ્યુ હતું કે ફરીયાદીના લતામાં અમુક માણસો અંદરો અંદર ગાળો બોલતા હોય અને સોનુબાને લાગેલ કે અમો ગાળો બોલીએ છીએ જે બાબતે ફરીયાદીના ઘરે આવી વાતચીત કરતા હતા એ દરમ્યાન અન્ય આરોપીઓ ફરીયાદીના ઘરે આવ્યા હતા, દરમ્યાનમાં એક આરોપીએ તેની પાસેની છરી વડે ફરીયાદીના ભાઇ પ્રદિપસિંહને ઘા ઝીંકી દેતા લોહીલુહાણ હાલતમાં ઢળી પડયો હતો તેમજ અન્ય આરોપીઓએ ભેગા મળી ફરીયાદીના ભાઇ મયુરસિંહને ઢીકાપાટુનો માર મારી ગેરકાયદે મંડળી રચી એકબીજાને મદદગારી કરી હતી.
આ ફરીયાદના આધારે સીટી-સી પીઆઇ એન.બી. ડાભી અને સ્ટાફના રાજનભાઇ વિગેરે દ્વારા તપાસ કરીને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. દરમ્યાનમાં બનાવમાં વપરાયેલી છરી પોલીસે કબ્જે કરી હતી અને બે આરોપીને સાથે રાખીને ઘટનાનું રીક્નસ્ટ્રકશન કરાયુ હતું દરમ્યાન આરોપીઓને કોર્ટમાં રજુ કરતા જેલ હવાલે કરાયા છે.